
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ટેકનોલોજીનો વપરાશ વધવાની સાથે સાઈબર ક્રાઈમના ગુનામાં પણ વધારો થયો છે. સીઆઈડી ક્રાઈમના સાયબર સેલ દ્વારા ગુજરાત રાજ્યમાં સાયબર ક્રાઈમ રોકવા માટે 4500 વોલેન્ટિયર્સની નિમણૂંક કરવામાં આવી છે. આ વોલેન્ટિયર્સ રાજ્યના નાના શહેરોમા નાગરિકોમાં ઈ-ચિટિંગના ગુના સામે જનજાગૃતિ કેળવવા ઉપરાંત ગુનાના ઉકેલ માટે કાર્યવાહી કરશે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં 13 સાયબર પોલીસ સ્ટેશન કાર્યરત છે. તેમજ લિન્કો મોકલીને, ફેસબૂક પર દોસ્તી કેળવીને કે અન્ય કોઈ રીતે પણ બેન્કની ડીટેઈલ્સ મેળવી લઈને પ્રજાજનોના બેન્ક એકાઉન્ટમાંથી પૈસા સેરવી લેવાના કિસ્સા સતત વધી રહ્યાં છે. વોટ્સએપ, ફેસબૂક કે અન્ય સોશિયલ મિડિયાના માધ્યમથી યુવતીઓ સાથે સંબંધો કેળવવા કે બદનામ કરવાની ગુનાખોરી પણ વકરી રહી છે. આ ગુનાખોરી ગુજરાતના શહેરો પૂરતી સીમિત હતી. હવે, ઈ-ટ્રાન્ઝેક્શનનો ટ્રેન્ડ વધતાં તાલુકા મથકો સુધી સાયબર ક્રાઈમ વિસ્તર્યું છે.
સાયબર ક્રાઈમમાં સતત ઉછાળો આવતા ગુજરાત સરકારે સીઆઈડી ક્રાઈમના સાયબર સેલમાં રાજ્યવ્યાપી કન્ટ્રોલ રુમ કાર્યરત કર્યો છે. આ કન્ટ્રોલ રુમના તાબામાં રાજ્યના 13 સાયબર પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યાં છે. રાજ્યના નાના શહેરોમાં જનજાગૃતિ કેળવવા ઉપરાત સાયબર ક્રાઈમના ગુના ઉકેલવા માટે હવે સાયબર સેલ દ્વારા 4500 વોલેન્ટિયર્સની નિમણૂંક કરાઈ છે. રાજ્યના તમામ જિલ્લામાં ત્રણ પ્રકારે વોલેન્ટિયર્સની નિમણૂંક કરવામાં આવી રહી છે. સાયબર વોલેન્ટિયર્સ લોકોને એકત્ર કરીને લોકોમાં મોબાઈલના ઉપયોગ અને ઈ-ટ્રાન્ઝેક્શન સલામત રીતે કરવા અંગે જાણકારી આપશે. જ્યારે, સોશિયલ મિડિયા અંગે અવેરનેસ માટે થઈને જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરે વોલેન્ટિયર્સ જઈને લોકોમાં જનજાગૃતિ કેળવશે.