
રાજદ્રોહના કાયદા પર સુપ્રીમે પ્રતિબંધ મુક્યા છે, ત્યારે પાટિદારો પરના કેસો પરત ખેંચોઃ હાર્દિક પટેલ
અમદાવાદઃ સુપ્રીમ કોર્ટ દ્વારા રાજદ્રોહના કાયદા સામે રોક લગાવવામાં આવી છે. કેન્દ્ર સરકાર આ કાયદાની સમીક્ષા ન કરે ત્યાં સુધી નવા રાજદ્રોહનો કેસ દાખલ થઈ શકસે નહીં. જે વ્યક્તિ આ કેસમાં જેલમાં બંધ છે તે પણ જામીન માટે અરજી કરી શકે છે. આમ રાજદ્રોહના કાયદા સામે સ્ટે મળતા કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે એવી માગણી કરી છે. કે, ગુજરાત સરકારે પાટિદાર આંદોલન સમયે પાટિદાર યુવાનો પર રાજદ્રોહના કેસ કરેલા છે. તે પાછા ખેંચવા જોઈએ.
પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, પાટીદાર અનામત આંદોલન દરમિયાન કુલ આઠ આંદોલનકારીઓ સામે રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં નિલેશ એરવાડિયા સામે કેસ પરત ખેંચાયો છે. બાકીના રાજદ્રોહના કેસ પણ પરત લેવામાં જોઈએ તેવી માગણી છે. દેશમાં રાજદ્રોહના જે પણ કેસ હોય તે પાછા ખેંચવા જોઈએ. રાજદ્રોહની કલમ રદ થવી જોઇએ. રાજસ્થાનમાં ગુર્જર આંદોલન દરમિયાન થયેલા રાજદ્રોહના કેસ પણ પરત લેવા જોઈએ. અલગ-અલગ રાજ્યોમાં ઘણા લોકો પર રાજદ્રોહ કેસ કરવામાં આવ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોઈ વ્યક્તિ સમાજ, યુવાનો અને રાજ્ય માટે કામ કરે તો તેના પર રાજદ્રોહ ન લગાડવો જોઈએ. સુપ્રીમના નિર્ણયથી દેશભક્ત, રાજભક્ત યુવાઓને લાભ થશે. રાજદ્રોહની કલમ અંગ્રેજોના જમાનાની છે પરંતુ આજે ઈંગ્લેન્ડમાં પણ રાજદ્રોહ નથી. અંગ્રેજો સામે લડતા લોકો સામે આ કમલ હેઠળ કાર્યવાહી થતી, આજે ભારત આઝાદ છે અને સરકારથી નારાજ લોકો તેની રજુઆત કરી શકે. તેને વિરોધ નહીં દેશ ભક્તિ કહેવાય રાજધર્મ કહેવાય. સરકાર સામે બોલતા દબાવવા માટે આ કલમનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણા ધારાસભ્યો સરકારની ટીકા કરે છે તો તેમની સામે આ કેસ દાખલ થતો નથી.