કેન્દ્રીય સડક પરિવન પ્રધાન નીતિન ગડકરી પોતાના નિવેદનોને કારણે ગત ઘણાં દિવસોથી સમાચારમાં ચમકી રહ્યા છે. ગડકરી સતત ઈનોવેશનની વાત કરી રહ્યા છે. હવે તેમણે વધુ એક નવો ટાર્ગેટ રજૂ કર્યો છે. ગડકરીએ કહ્યુ છે કે ગોવામાં ટૂરિઝમ મહત્વપૂર્ણ છે. તેના માટે તેઓ ઘણાં પગલા ઉઠાવી રહ્યા છે. તેમણે કહ્યુ છે કે ગોવામાં પણ ફ્લાઈંગ બસો હોવી જોઈએ. એટલું જ નહીં આ ફ્લાઈંગ બસો ડબલ ડેકર હોવી જોઈએ તેવું પણ તેમણે જણાવ્યુ છે.
એક કાર્યક્રમ દરમિયાન ગડકરીએ કહ્યુ છે કે ગોવામાં ટ્રાન્સપોર્ટ સિસ્ટમને લઈને તેમની ઘણી યોજનાઓ છે. તેઓ ચાહતા હતા કે ગોવામાં મોટાભાગનું ટ્રાન્સપોર્ટ પાણી પર કરવામાં આવે, પરંતુ આવું થતું દેખાઈ રહ્યું નથી. તેથી તેમનું માનવું છે કે ટૂરિસ્ટ પ્લેસ હોવાને કારણે અહીં ફ્લાઈંગ બસ પણ ચલાવી શકાય છે.
કેન્દ્રીય પ્રધાન ગડકરીએ કહ્યુ છે કે ફ્લાઈંગ બસો કોઈપણ ઠેકાણે ચલાવી શકાય છે. તેની કેપેસિટી મેટ્રોથી પણ વધારે છે. તેમણે કહ્યુ છે કે મેટ્રોની કિંમત 350 કરોડ પ્રતિ કિલોમીટર છે. જ્યારે ફ્લાઈંગ બસ માત્ર 50 કરોડ પ્રતિ કિલોમીટર હોય છે. ગોવાના ટૂરિઝમને જોતા અહીં ઈલેક્ટ્રિક વ્હીકલને પ્રોત્સાહન આપવું જોઈએ. તેમણે કહ્યુ છે કે ઓસ્ટ્રિયાની મુલાકાતમાં તેમણે આ સિસ્ટમને જોઈ હતી. તેમણે ફ્લાઈંગ ડબલ ડેકર બસો બનાવી છે. જેમાં લગભગ 260 પેસેન્જર બેસી શકે છે.
ગડકરીએ કહ્યુ છે કે તેઓ ગોવામાં ટ્રાન્સપોર્ટ સિસ્ટમને વેનિસની તર્જ પર વિકસિત કરવા ઈચ્છતા હતા. વેનિસમાં મોટાભાગનું ટ્રાવેલિંગ પાણી દ્વારા થાય છે. પરંતુ આવું થઈ શક્યું નથી. તેનાથી તેમને ઘણું દુ:ખ પણ પહોંચ્યું છે. જો કે ગડકરીએ કહ્યુ છે કે આજે ગંગામાં પણ જહાજ ચાલી રહ્યું છે.
મહત્વપૂર્ણ છે કે ગડકરીએ રવિવારે એક નિવેદન આપ્યું હતું. તેનાથી તેમના ખુદના પક્ષની કેન્દ્રની સરકાર સવાલોના ઘેરામાં આવી ગઈ છે. ગડકરીએ કહ્યુ હતુ કે સપના એવા જ દેખાડો કે જેને પુરા કરી શકાય, નહીંતર જનતા સપના પુરા નહીં થવા પર નેતાઓની પિટાઈ પણ કરે છે.
ગડકરી પહેલા પણ એવા નિવેદનો આપી ચુક્યા છે કે જેનાથી ઘણો હંગામો થયો છે. જો કે બાદમાં તેમણે સ્પષ્ટીકરણ આપતા ક્હયુ હતુ કે તેની ટીપ્પણીને ખોટી રીતે રજૂ કરવામાં આવી છે.