
અમદાવાદઃ શહેરમાં રૂપિયા એક હજાર ચાર્જ લઇ વેક્સિન આપવાનો વિવાદ વધતા રાજ્ય સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોને પણ ચાર્જેબલ બેઝીઝની છૂટ આપવામાં આવી છે. ચાર્જેબલ વેક્સિન તાત્કાલિક લેવા માંગતા હોય તેના માટે જ છે. કોરોના સંક્રમણ નિયંત્રણ માટેના અમોઘ શસ્ત્ર એવા કોરોના રસીકરણનો વ્યાપ વધારવા ભારત સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોને પણ ચાર્જેબલ બેઝીઝ ઉપર રસીકરણની છૂટ અપાઇ છે. તેમજ અમદાવાદ મહાનગરમાં એપોલો હોસ્પિટલ દ્વારા કોરોના વેક્સિનેશન ચાર્જેબલ બેઝીઝ પર શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન આરોગ્ય વિભાગનો હવાલો સંભાળતા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યુ હતું કે, પોતાને કોઇ જ જાણ નથી. અમદાવાદમાં ખાનગી હોસ્પિટલ એપોલો દ્વારા જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે રૂપિયા 1000 નો ચાર્જ લઈને વેક્સિન શરૂ કરાયાની આરોગ્ય પ્રધાનને જાણ ન હોવા સામે સવાલો ઊઠી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સરકારમાં જ સંકલનનો અભાવ હોવાનું અનેકવખત બહાર આવ્યું છે. ખાસ કરીને મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન વચ્ચે કોઈ ખટરાગ કે વિવાદ હોવાનું વારંવાર ભાજપના સિનિયર નેતાઓમાં ચર્ચાનો વિષય બન્યો છે, આરોગ્ય પ્રધાન તરીકે હાલ કોરોનાની જવાબદારી જેમના શિરે છે એવા ખુદ નીતિન પટેલે અમદાવાદમાં રૂ.1000માં વેક્સિન આપવામાં આવતી હોવાની વાતથી અજાણ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. અમદાવાદ-ગાંધીનગર વચ્ચે તૈયાર થઈ રહેલા બ્રિજની મુલાકાતે આવેલા
રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને આરોગ્ય પ્રધાન નીતિન પટેલને પત્રકારોએ અમદાવાદમાં 1000 રૂપિયામાં વેક્સિનનું વેચાણ શરૂ થયું હોવાનો પ્રશ્ન પૂછતાં થોડા અકળાઈ ગયેલા ચેહેર જવાબ આપ્યો હતો કે,મ્યુનિસિપલ કોર્પોરેશને એ નિર્ણય કર્યો છે, રાજ્ય સરકાર કે મુખ્યપ્રધાનની મંજૂરી લેવામાં આવી છે કે કેમ એ માહિતી મારી પાસે નથી. આવો ઉત્તર આપીને નીતિન પટેલ રવાના થઈ ગયા હતા. આમ, ગુજરાત રાજ્યના આરોગ્ય પ્રધાન અને સરકારમાં નંબર ટુનો નાયબ મુખ્યપ્રધાન તરીકેનો હોદ્દો સંભાળી રહેલા નીતિન પટેલનો આવો જવાબ ચર્ચાનો વિષય બન્યો છે. નીતિન પટેલના આ જવાબથી ચર્ચા ચાલી છે કે, નીતિનભાઈ પટેલને ખબર નથી કે અમદાવાદમાં કેવી રીતે ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન શરૂ થયું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો અરોગ્યપ્રધાનની પરવા કર્યા વિના સીધા જ નિર્ણય લેતા હોવાથી ચર્ચા જાગી છે. અમદાવાદમાં એપોલો હોસ્પિટલ દ્વારા AMC સાથે મળીને PPP ધોરણે GMDC ગ્રાઉન્ડ ખાતે ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનની કામગીરી શરુ કરવામાં આવી છે. જેમાં 18થી વધુ વયના લોકોને સ્થળ પર જ રજિસ્ટ્રેશન કરીને વેક્સિન આપવામાં આવી રહી છે. રસી લેનાર દરેક વ્યક્તિ એક હજાર રૂપિયાનો ચાર્જ ચૂકવી રહ્યા છે. હાલમાં વેક્સિન માટે લોકોને હાલાંકી ભોગવવી પડે છે. સરકાર ફ્રીમાં વેક્સિન આપી શકતી નથી અને હવે પ્રાઈવેટ પાર્ટનરશીપમાં એક હજાર રૂપિયામાં વેક્સિન વેચી રહી છે. દરરોજ 1000 ડોઝ આપવામાં આવશે, જે હિસાબે રૂ.10 લાખની આવક થશે.