1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં છેલ્લા 6 મહિનામાં 10629 કૂતરાઓનું ખસ્સીકરણ કરાયું
અમદાવાદમાં છેલ્લા 6 મહિનામાં 10629 કૂતરાઓનું ખસ્સીકરણ કરાયું

અમદાવાદમાં છેલ્લા 6 મહિનામાં 10629 કૂતરાઓનું ખસ્સીકરણ કરાયું

0
Social Share

અમદાવાદઃ  શહેરમાં રખડતા પશુઓ જ નહીં પણ કૂતરાનો ત્રાસ પણ વધતો જાય છે. શહેરની  સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સભ્યોએ તંત્ર ઉપર પસ્તાળ પાડી શું કામગીરી કરવામાં આવી એ અંગેની વિગતો માંગી હતી. શહેરમાં છ મહિનામાં કૂતરા પકડવા માટે વિવિધ વિસ્તારોમાંથી 1383 ફરિયાદો મળી હોવાનો તંત્રે સ્વીકાર કર્યો હતો. ઉપરાંત રખડતા ઢોર પકડવા 1061 ફરિયાદો મળી હતી.308  કીસ્સામાં તંત્રે પોલીસ ફરિયાદ કરી છે.આ અંગે મળતી માહિતી મુજબ,હાઈકોર્ટના ઠપકા બાદ પણ અમદાવાદમાં રખડતા કૂતરા અને ઢોરોના વધી રહેલા ત્રાસની ઘટનાઓ વધી રહી હોવા બાબતમાં સ્ટેન્ડીંગ કમિટીના સભ્યોએ ચિંતા વ્યકત કરી હતી.

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના ઢોર ત્રાસ અંકુશ નિવારણ વિભાગના જણાવ્યા મુજબ આ વર્ષે એપ્રિલથી સપ્ટેમ્બર સુધીમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી પકડવામાં આવેલા 10 હજાર 629 કૂતરાઓનું વિવિધ એજન્સીઓ દ્વારા ખસીકરણ કરવામાં આવ્યુ છે.  શહેરભરમાંથી છ મહિનામાં 1383 જેટલી ફરિયાદો કૂતરા પકડવા તંત્રને મળી હતી.આ ઉપરાંત રખડતા ઢોરોની મળેલી 1061 ફરિયાદ મળી છે. કુલ 4693 ઢોર પકડી એ પૈકી ત્રણ હજાર ઢોરને પાંજરા પોળમાં મોકલવામાં આવ્યા હતા. ABC ડોગ રૂલ્સ 2001ના નિયમ મુજબ, અમદાવાદ શહેરમાં છેલ્લા દસ વર્ષથી વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ પાસેથી કૂતરાઓના ખસીકરણની કામગીરી કરાવવામાં આવી રહી છે. આ સમય દરમિયાન 2 લાખ 69 હજાર 500 કૂતરાઓનું ખસીકરણ કરવામાં આવ્યુ છે. અમદાવાદમાં જેટલી ગતિએ કૂતરાઓને અન્ય સ્થળે ખસેડવામાં આવે છે એની સામે વર્ષમાં કૂતરાઓમાં બે વખત બ્રિડીંગ પ્રક્રિયા થતી હોવાથી આ સમયમાં તે પાંચથી છ બચ્ચાને જન્મ આપે છે. આ પૈકી 50 ટકા બચ્ચા જીવીત રહે છે. સામાન્ય રીતે જોઈએ તો એક કૂતરાનું આયુષ્ય સરેરાશ આઠથી દસ વર્ષનું હોય છે.

અમદાવાદમાં વર્ષ-2019 જુન સુધીના સમયમાં કૂતરાઓની કરવામાં આવેલી વસ્તી ગણતરી મુજબ, શહેરમાં 1 લાખ 49 હજાર 341 કૂતરા નોંધાયા હતા. જે પૈકી 1 લાખ 2 હજાર 300 કૂતરાઓનું ખસીકરણ થઈ ગયુ છે. આમ કૂતરાની કુલ સંખ્યાને ધ્યાનમાં લેતા 35 ટકા કૂતરાનુ ખસીકરણ કરવાની પ્રક્રીયા બાકી રહે છે. બીજી તરફ તેમની પ્રજનન પ્રક્રીયાને ધ્યાનમાં લેતા દર વર્ષે સાતથી આઠ હજાર કૂતરાની સંખ્યા વધતી રહે છે. સ્ટેન્ડીંગ કમિટીમાં મુકવામાં આવેલી કૂતરાના ખસીકરણ માટેની દરખાસ્તમાં પ્રતિ નંગ રૂપિયા 930 ચૂકવવાની મંજુરી માંગવામાં આવી છે. જેમાં કૂતરાના ખસીકરણ ઉપરાંત તેને ચાર દિવસ રાખવા તથા તેના ખોરાક સહિતની બાબતનો સમાવેશ થાય છે. બીજા વર્ષે આ ભાવમાં પાંચ ટકાનો વધારો અપાશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ વર્ષે ફેબુ્આરીમાં ચૂંટણી યોજાઈએ પહેલા બોપલ સહિત પૂર્વમાં કઠવાડા જેવા અનેક નવા વિસ્તારોનો સમાવેશ મ્યુનિસિપલ હદમાં કરાયો છે.આ વિસ્તારોમાં કૂતરાની સંખ્યા કેટલી છે એની ગણતરી કરવાની બાકી હોવાનું જાણવા મળ્યુ છે. શહેર હદ બહારના કૂતરા મેટીંગ પ્રક્રીયા માટે શહેર અંદર આવે છે અને જતા રહે છે. એવા કૂતરા કેટલા હશે એની ગણતરી કરવી પણ મુશ્કેલ બનતી હોય છે. જે પ્રમાણે રાષ્ટ્રીય સ્તરે કૂતરાને લઈને નિયમો અમલમાં મુકવામાં આવ્યા છે. એ નિયમોની પણ કેટલીક મર્યાદાઓ મ્યુનિ.તંત્રને નડી રહી છે.મ્યુનિ.ની સીસીઆરએસ ફરીયાદ સેવામાં કૂતરા પકડી જવાની સરેરાશ 80 ટકા ફરિયાદો આવતી હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે. પરંતુ નિયમ મુજબ, ફરિયાદ મળ્યા બાદ જે કૂતરાઓનું ખસીકરણ કરવામાં ના આવ્યુ હોય એ જ કૂતરાને લઈ જઈ ખસીકરણ કરાયા બાદ એ જ વિસ્તારમાં પાછા છોડવા પડતા હોય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code