
અમદાવાદઃ શહેરમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને વટાવી ગયો છે. છેલ્લા પખવાડિયાથી લોકો અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા છે. ત્યારે પાણીજન્ય રોગચાળો પણ વકરી રહ્યો છે. છેલ્લા 12 દિવસમાં સરકારી દવાખાના અને હોસ્પિટલોમાં વાયરલ તાવ, ઝાડા-ઊલટી અને પેટમાં દુઃખાવાના 2480 કેસ નોંધાયા છે. જેમાં મ્યુનિ.ની હોસ્પિટલોમાં 129 દર્દીઓને દાખલ કરાયા છે. દરમિયાન મ્યુનિના આરોગ્ય વિભાગ દ્વારા બપોરના સમયે કામ વિના બહાર નહીં નીકળવા, બહાર ખાણી-પીણીમાં ધ્યાન રાખવા લોકોને અપિલ કરી છે.
હવામાન વિભાગ દ્વારા અમદાવાદ શહેરમાં આગામી ચાર દિવસ સુધી યલો એલર્ટ અપાયુ છે. ગરમીને લીધે પાણીજન્ય રોગચાળો વકરતો જાય છે. 21 એપ્રિલથી 2 મે સુધીમાં સરકારી હોસ્પિટલો અને સરકારી દવાખાનાંઓમાં પેટમાં દુખાવો, ઝાડા-ઊલટી, માથું દુખવું, ચક્કર આવા ભારે તાવ આવવો જેવા કુલ 2480 કેસો નોંધાયા છે. જેમાં મ્યુનિ. સંચાલિત હોસ્પિટલોમાં કુલ 129 લોકોએ સારવાર લીધી છે. શહેરમાં ગરમીને લીધે ગત 28મી એપ્રિલના રોજ 293 લોકોએ સારવાર લીધી હતી. ગરમીના કારણે સૌથી વધુ પેટમાં દુઃખાવાના કેસો સામે આવી રહ્યા છે. આગામી ચાર દિવસ સુધી ગરમી વધવાની છે જેથી લોકોને સાવચેત રહેવા જણાવાયું છે. એએમસી દ્વારા શહેરનાં અર્બન હેલ્થ સેન્ટર / કોમ્યુનીટી હેલ્થ સેન્ટર તેમજ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર મળીને કુલ 194 સ્થળોએ ઓ.આર.એસ. કોર્નર તૈયાર કર્યો છે, ગત અઠવાડિયે કુલ 4800થી વધુ ઓ.આર.એસ. પેકેટસનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ સામાજીક સંસ્થાઓની મદદથી કુલ 634 પાણીની પરબ કાર્યરત છે, તેમજ અ.મ્યુ.કો. દ્વારા દરેક ઝોનમાં મોબાઇલ પાણીની પરબ કાર્યરત કરવામાં આવી છે. ઉપરાંત શહેરમાં કુલ 263 ગાર્ડન સવારે 6 કલાક થી રાત્રિના 11 કલાક સુધી ખુલ્લા રાખવામાં આવે છે, તેમજ દરેક સ્થળે પીવાના પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ છે.
શહેરમાં આવનારા દિવસોમાં વધી રહેલાં તાપમાનના અનુસંધાને અ.મ્યુ.કો. દ્વારા શહેરીજનોને અતિશય ગરમીથી બચવા માટે તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે. જેમાં બહાર જતી વખતે પાણીની બોટલ સાથે રાખવી, પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવા જોઇએ જેમ કે પાણી, લીંબુ શરબત, છાશ, નાળિયેર પાણી અથવા અન્ય પ્રવાહીનું સેવન કરવું, તાજા ફળો અને શકભાજી ખાવા જોઇએ. લાંબો સમય તડકામાં ન રહેવું, આચ્છા રંગના તેમજ ઢીલા સુતરાઉ કપડાં પહેરવાં, નાના બાળકો – વૃધ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવું. તેમજ બપોરે 12થી 4 વાગ્યાની વચ્ચે તડકામાં બહાર જવાનું ટાળવા જાહેર અપીલ કરવામાં આવી છે.