
- દેશમાં વેક્સિનેશનની પ્રકિયા રોકેટની ગતિ પર
- 24 કલાકમાં 51 લાખ લોકોને મળી વેક્સિન
- સરકાર વધારી શકે છે વેક્સિનેશનની સ્પીડ
દિલ્હી:ભારતમાં ગઇકાલે રાષ્ટ્રવ્યાપી રસીકરણ કવરેજનો કુલ આંકડો 45.60 કરોડ કરતાં વધારે થઇ ગયો છે. 30 જુલાઈ સુધીના ડેટા અનુસાર દેશમાં આજે 51 લાખથી વધારે લોકોને વેક્સિન આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં રસીના 51,83,180 ડોઝ આપવામાં આવ્યા છે. તારીખ 21 જૂનથી કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાનના સાર્વત્રીકરણના નવા તબક્કાનો આરંભ થયો છે. કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણનો વ્યાપ વધારવા માટે અને તેને વધુ વેગવાન બનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે.
મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,07,43,972 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 42,360 દર્દીઓ સાજા થયા છે. આના કારણે એકંદરે સાજા થવાનો દર 97.38% થયો છે.
છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 44,230 નવા કેસ નોંધાયા છે. પંદર દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે.
દેશમાં સક્રિય કેસનું ભારણ આજે 4,05,155 છે અને સક્રિય કેસ હવે દેશના કુલ પોઝિટીવ કેસના માત્ર 1.28% છે.
સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 18,16,277 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 46 કરોડથી વધારે (46,46,50,723) પરીક્ષણો કરવામાં આવ્યા છે.
એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 2.43% છે જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 2.44% નોંધાયો છે. દૈનિક પોઝિટીવિટી દર સળંગ 53 દિવસથી આ દર 5%થી નીચે જળવાઇ રહ્યો છે.