
રાજકોટ: ઉપલેટા માર્કેટિંગ યાર્ડ વિવિધ જણસીઑથી ઉભરાયું, પૂરતા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી
- ખેડૂતોને મળી યોગ્ય આવક
- પૂરતા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીની લહેર
- માર્કેટિંગ યાર્ડ વિવિધ જણસીઑથી ઉભરાયું
- રોજ 1400થી 1500 ગુણી મગફળીની આવક
રાજકોટ- કોરોના બાદ લાંબા સમય પછી માર્કેટ ફરીવાર ખુલી રહ્યું છે. રાજકોટના ઉપલેટામાં એપીએમસી માર્કેટ ખુલતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. સારી વાત એ છે કે કોરોનાને લઈને રાજ્યભરમાં મોટાભાગના APMC માં સ્વયંભૂ લોકડાઉન લગાવી દેવામાં આવ્યુ હતું.
રાજકોટ જિલ્લાના ઉપલેટા – ધોરાજી માર્કેટિંગ યાર્ડ 1 મહિના ઉપરથી બંધ હતા અને ગત અઠવાડિયે ફરીથી ખોલવામાં આવ્યા છે. 7 દિવસથી શરૂ થયેલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો રાબેતા મુજબ ખેત જણસી લઈને વેચવા માટે આવી રહ્યા છે.
ધોરાજી અને ઉપલેટા માર્કેટિંગ યાર્ડ મગફળી, એરંડા, તલ અડદ જેવી જણસીથી ઉભરાયું હતું. ઉપલેટા યાર્ડમાં રોજ 1400 થી 1500 ગુણી મગફળીની આવક થઈ રહી છે. જોવા જઈએ તો 7 દિવસની અંદર 15 હજાર ગુણીની આવક થઈ ચૂકી છે, જ્યારે મગફળીના 20 કિલોના 900 થી 1150 રૂપિયા જેટલા ભાવ મળી રહ્યા છે, જ્યારે એરંડામાં પણ ખેડૂતોને પૂરતા ભાવ મળતા ખુશ જોવા મળતા હતા. યાર્ડમાં આવતા ખેડૂતોને તાત્કાલિક પૈસા મળી જતા આવી રહેલ ચોમાસાના વાવેતર માટે રોકડ રકમ મળતા હવે ચોમાસાના વાવેતરની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.
માર્કેટ ખુલતા અને કોરોનાના કેસ ઓછા થતા ખેડૂતોની જરૂરીયાત વાળી દુકાનો પણ ખુલવા લાગી છે અને તેના કારણે ખેડૂતોઓ ચોમાસાની તૈયારી પણ શરૂ કરી દીધી છે.