1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજ્યના નાગરિકોને રખડતા ઢોરના ત્રાસથી મુક્તિ અપાવવા ઢોરવાડા બનાવાશેઃ સરકારનો નિર્ણય
રાજ્યના નાગરિકોને રખડતા ઢોરના ત્રાસથી મુક્તિ અપાવવા  ઢોરવાડા બનાવાશેઃ સરકારનો નિર્ણય

રાજ્યના નાગરિકોને રખડતા ઢોરના ત્રાસથી મુક્તિ અપાવવા ઢોરવાડા બનાવાશેઃ સરકારનો નિર્ણય

0
Social Share

ગાંધીનગરઃ રાજ્યના નાગરિકોને રખડતા ઢોરોના ત્રાસથી મુક્તિ અપાવવા માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિર્દેશન હેઠળ રાજ્યના પશુપાલકો, નાગરિકો કે પશુઓ કોઇને તકલીફ ન પડે તે પ્રકારની વ્યવસ્થા ઊભી કરાશે. પશુપાલકો પાસે વ્યવસ્થા ન હોય તો પોતાના પશુ ઢોરવાડામાં મુકી શકશે, જેની સંપૂર્ણ સારસંભાળ રાજ્ય સરકાર રાખશે. એટલુ જ નહિ, ઢોરવાડા સુધી રખડતા ઢોરને પહોંચાડવા માટેના ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ રાજ્ય સરકાર ભોગવશે.તેમ રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી જીતુ વાધાણીએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યુ હતું કે,  રાજયની આઠ મહાનગરપાલિકાઓ અને 156 નગરપાલિકાઓમાં ઢોર વાડા બનાવવામાં આવશે. તે માટે રૂ.10 કરોડની અલગથી જોગવાઈ કરવામાં આવશે અને જરૂર પડે તેમાં વધારો કરવામાં પણ આવશે. પકડેલા ઢોર માટે પાણી, શેડ સહિતની તમામ જરૂરી વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ચોમાસા દરમિયાન પશુપાલકો પાસે પશુઓ રાખવા માટે પુરતી જગ્યા કે અન્ય વ્યવસ્થા ન હોવાને કારણે પશુઓને રોડ ઉપર છોડી દેવામાં આવે છે, જેના પરિણામે પશુઓની સંખ્યા રોડ ઉપર વધુ પ્રમાણમાં જોવા મળે છે. જે બાબત ધ્યાને લઇને જે પશુપાલકો પાસે આવી વ્યવસ્થા ન હોય તે પશુપાલકો સંબંધિત મહાનગરપાલિકા કે નગરપાલિકાના ઢોરવાડામાં પશુઓ મુકી શકે એ માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

વાઘાણીએ વધુમાં ઉમેર્યુ કે, આ માટે સંબંધિત મહાનગરપાલિકા/નગરપાલિકાઓને પશુપાલકો ઢોરને ઢોરવાડામાં મુકવા આવે ત્યારે તેને વિના મૂલ્યે રાખવાની સૂચનાઓ આપી દેવાઈ છે.અને પશુઓને પુરતી સગવડો પણ આપવાની રહેશે. પશુપાલકોને પશુઓ સંબંધિત મહાનગરપાલિકા / નગરપાલિકાના ઢોરવાડામાં મુકવા માટે જે ટ્રાન્સપોર્ટેશન અંગે થનારો ખર્ચ હાલ સંબંધિત મહાનગરપાલિકા / નગરપાલિકાઓ ભોગવશે.

અત્રે ઉલ્લેખનીય છે. કે, ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્રના અંત સમયે ગૃહમાં રખડતાં ઢોર નિયંત્રણ બિલ લાવવામાં આવ્યું હતું. સૌથી વધારે અને લાંબી ચર્ચા જે બિલમાં કરવામાં આવી હતી તે બિલ અદ્ધરતાલ સ્થિતિમાં છે ત્યારે હાઈકોર્ટ દ્વારા સરકારને હુકમ કરી કહેવામાં આવ્યું છે કે સાંજ સુધીમાં જ રખડતાં ઢોર અંગે નિર્ણય કરવામાં આવે. તેથી  હાઈકોર્ટના કડક વલણ બાદ સરકારે તાબડતોબ નિર્ણય જાહેર કર્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code