1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ધો.12 સામાન્ય પ્રવાહમાં 44 ટકા અને સાયન્સમાં 32 ટકા વિદ્યાર્થીઓ ગત વર્ષની તુલનાએ વધુ નોંધાયા
ધો.12 સામાન્ય પ્રવાહમાં 44 ટકા અને સાયન્સમાં 32 ટકા વિદ્યાર્થીઓ ગત વર્ષની તુલનાએ વધુ નોંધાયા

ધો.12 સામાન્ય પ્રવાહમાં 44 ટકા અને સાયન્સમાં 32 ટકા વિદ્યાર્થીઓ ગત વર્ષની તુલનાએ વધુ નોંધાયા

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચમાં લેવાનારી ધો. 12ની પરીક્ષાના ફોર્મ ઓનલાઈન ભરાઈ રહ્યા છે. આ વખતે ધો. 12ના સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓમાં વધોરો થયો છે. કોરોનાને કારણે વર્ષ 2020-21માં ધો.10માં માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. જેની અસર આ વખતે ધો.12 સાયન્સ અને સામાન્ય પ્રવાહના બોર્ડની પરીક્ષા માટે નોંધાયેલા વિદ્યાર્થીઓ પર જોવા મળી હતી. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ધો. 12માં 2 લાખ વિદ્યાર્થીઓ વધુ નોંધાયા છે. જેમાં 12 સાયન્યસમાં 32 ટકા અને સામાન્ય પ્રવાહમાં 44 ટકા વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઈબી) દ્વારા માર્ચ-2023ની પરીક્ષા માટે નોંધાયેલા ધોરણ 12 સામાન્ય પ્રવાહ, સાયન્સની પરીક્ષા માટેના વિદ્યાર્થીઓની સંખ્યામાં ગત વર્ષની તુલનાએ ધરખમ વધારો નોંધાયો છે. નિષ્ણાતોના મતે કોરોનાના કારણે 2021ની સાલમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાતા આવી પરિસ્થિતિનુ નિર્માણ થયું છે. કોવિડ-19ના કારણે માર્ચ 2021ની સાલમાં શિક્ષણ બોર્ડની પરીક્ષા લેવામાં આવી ન હતી. જેના કારણે તે વર્ષે ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને સાથે જ માસ પ્રમોશન આપવામાં આવતા તે વર્ષે પાસ થનારા વિદ્યાર્થીઓ ધોરણ 10 બાદ ધોરણ 11 પાસ કરીને ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને સાયન્સમાં સરળતાથી પ્રવેશ મેળવી શક્યા હતા.

​​​​​​​સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, શૈક્ષણિક વર્ષ માર્ચ, 2022ની બોર્ડની પરીક્ષામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે 3.91 લાખ વિદ્યાર્થીઓ સામે આ વર્ષે 5.64 લાખ નોંધાયા છે એટલે કે ગત વર્ષ કરતા 44 ટકા વધુ એટલે કે 1.72 લાખ વધુ વિદ્યાર્થીઓ આ વર્ષે ધો. સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષા માટે નોંધાયા છે. બીજી તરફ ધોરણ 12 સાયન્સમાં શૈક્ષણિક વર્ષ માર્ચ, 2022ની બોર્ડની પરીક્ષામાં ધોરણ 12 સાયન્સની પરીક્ષા માટે 95,715 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. તેની સામે આ વર્ષે માર્ચ, 2023ની ધોરણ 12 સાયન્સ પ્રવાહની બોર્ડની પરીક્ષા માટે 1.26 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. આમ ગત વર્ષની તુલનાએ શિક્ષણ બોર્ડની પરીક્ષા માટે 30,885 વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા છે. કોરોનાકાળમાં તમામ ધોરણોમાં માસ પ્રમોશન જાહેર કરાયું હતુ. પરિણામે 100 ટકા વિદ્યાર્થીઓ પાસ થતા તેની સીધી જ અસર 10, 11, 12ની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે.

​​​​​​​સૂત્રોએ ઉમેર્યું હતું કે,  પરીક્ષા માટે નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થવાથી પરીક્ષા ખંડો, પરીક્ષાની બિલ્ડીંગોમાં વધારો કરવાની ફરજ પડશે. શૈક્ષણિક વર્ષ માર્ચ 2023ની પરીક્ષા માટે ધોરણ 12માં નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યામાં 1.74 લાખ વધારે નોંધાતા આશરે 6 હજાર જેટલા વધુ પરીક્ષા ખંડોની વ્યવસ્થા બોર્ડને કરવી પડશે. તે જ પ્રમાણે વિદ્યાર્થીઓની ઉત્તરવહી ચકાસણી માટે નિષ્ણાત શિક્ષકોની સંખ્યામાં પણ વધારો કરવાની ફરજ પડશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code