ગાંધીનગરઃ ગુજરાતની મોટાભાગની નગપરપાલિકાઓની આર્થિક હાલત કંગાળ છે. ધણીબધી નગર પાલિકાઓના માથે વીજ કંપનીઓનું કોરોડો રૂપિયાનું કરજ ચડી ગયું છે. અને વીજ કનેક્શનો પણ કપાય રહ્યા છે. ઉપરાંત નર્મદા નિગમના પાણીના બીલો પણ ચુકવી શકતી નથી. સૌરાષ્ટ્રની નગરપાલિકાઓની જેમ ઉત્તર ગુજરાતની 28 જેટલી નગરપાલિકાઓ પણ દેવાળું ફૂંકવાના આરે છે. આ નગર પાલિકાઓનાં વીજ, પાણી, સ્ટ્રીટ લાઈના વીજબિલો બાકી છે..જેમાંથી ઉત્તર ગુજરાતની 23 નગરપાલિકાનું 58 કરોડ 44 લાખ રૂપિયાનું વીજ બિલ બાકી છે. નગરપાલિકાના સત્તાધિશો આવક ઊભી કરવામાં નિષ્ફળ રહ્યા છે. મોટાભાગની નગપાલિકા વિસ્તારોમાં પ્રોપર્ટી ટેક્સ લાખો રૂપિયાનો બાકી બોલી રહ્યો છે. જેની કડક ઉઘરાણી કરવામાં આવતી નથી. બીજીબાજુ પાલિકાઓની તિજોરીઓ તળિયાઝાટક થઈ રહી છે. જેની પાછળનું કારણ છે સત્તાધીશોનો અણઘડ અને વહીવટ જવાબદાર હોવાનું કહેવાય છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાતની 23 નગર પાલિકાઓની આર્થિક સ્થિતિ એટલી કથળી ગઈ છે કે નગરપાલિકાના સત્તાધિશો વીજબિલની ચૂકવણી કરવાની સ્થિતિમાં પણ નથી. આંતરે દિવસે કોઈને કોઈ પાલિકાનું વીજ કનેક્શન કપાઈ જાય છે. અને શહેરોમાં અંધારપટ છવાઈ જાય છે. કે, પછી લોકોને પાણી નથી મળી શકતું. ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડના કહેવા મુજબ 31 જાન્યુઆરી 2023 સુધી 23 પાલિકાઓનું 58 કરોડ 44 લાખ રૂપિયાનું વિજ બિલ ભરવાનું બાકી છે.
યુજીવીસીએલના સૂત્રોએ જણાવ્યું હતું કે, પાણીનાં બોર અને સ્ટ્રીટ લાઈટોનાં વિજ બિલ ભરવાનાં બાકી છે, તેવી નગર પાલિકાઓમાં વિરમગામ નગરપાલિકાનું સૌથી વધુ 14 કરોડ રૂપિયાનું વીજ બિલ બાકી છે. કલોલ નગર પાલિકાનું 7 કરોડ રૂપિયાનું, ડીસા નગર પાલિકાનું 4 કરોડ 67 લાખ રૂપિયાનું, સિદ્ધપુર નગર પાલિકાનું 3 કરોડ 83 લાખ રૂપિયાનું, હારિજ નગર પાલિકાનું 3 કરોડ 11 લાખ રૂપિયાનું, ધાનેરા નગર પાલિકાનું 2 કરોડ 51 લાખ રૂપિયાનું, રાધનપુર નગર પાલિકાનું 2 કરોડ 88 લાખ રૂપિયાનું, પાટણ નગરપાલિકાનું 2 કરોડ 2 લાખ રૂપિયાનું, ચાણસ્મા નગર પાલિકાનું એક કરોડ 70 લાખ રૂપિયાનું અને પાલનપુર નગરપાલિકાનું એક કરોડ 66 લાખ રૂપિયાનું વિજ બિલ ચૂકવવાનું બાકી છે. વિજ બિલ નહીં ભરનારી કેટલીક નગરપાલિકાનાં વિજ કનેક્શન પણ કાપવામાં આવ્યા હતા. જેમાંથી કેટલીક પાલિકાએ વિજ બિલ ભરી દેતાં વિજ કનેક્શન પૂર્વવત્ પણ કરાયા હતા. જો કે નગરપાલિકાઓ સંપૂર્ણ બિલ ન ભરે તો આગામી દિવસોમાં તેમનાં વિજ કનેક્શન કાપવાની કાર્યવાહી થઈ શકે છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, છેલ્લા બે મહિનામાં રાજ્યની જે 17 નગરપાલિકાઓનાં વીજ કનેક્શન કપાયા છે, તેમાં મધ્ય ગુજરાતની સૌથી વધુ નવ તેમજ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની 4-4 નગરપાલિકાઓનો સમાવેશ થાય છે. નગરપાલિકાનાં સત્તાધીશો કેમ વિજ બિલ ભરવામાં બેદરકાર રહે છે, તેનું કારણ મુખ્યમંત્રીએ તાજેતરમાં જ આપ્યું હતું. તેમણે પાલિકાઓને જાતે સમયસર વિજબિલ ભરવાની તાકીદ પણ કરી હતી. નગરપાલિકાનાં સત્તાધીશોએ પોતાનાં વહીવટને સુધારવો પડશે. કરવેરાની વસૂલાત નિયમિત કરવી પડશે. આ માટે સતત સક્રિય રહેવું પડશે, કેમ કે તેમની અનિયમિતતાની સજા એ લોકોએ પણ ભોગવવી પડે છે. તેઓ નિયમિત રીતે કરવેરા ભરે છે.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

