અમદાવાદમાં રોગચાળો વકર્યો, એક મહિનામાં ડેન્ગ્યુના 708 કેસ નોંધાયા
- મનપાનું આરોગ્ય તંત્ર સફાળુ જાગ્યું
- મેલેરિયના 182 જેટલા કેસ નોંધાયાં
- પાણીજન્ય રોગચાળો પણ વકર્યો
અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં લાંબા સમયથી મેઘરાજાએ વિરામ લીધો છે અને ગણતરીના દિવસોમાં ચોમાસુ વિધિવત રીતે વિદાય પણ લેશે. બીજી તરફ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ માથુ ઉચક્યું છે. શહેરમાં રોગચાળો વકરતા મનપાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. તેમજ રોગચાળાને ડામવા માટે કવાયત વધારે તેજ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરમાં એક મહિનાના સમયગાળામાં મચ્છરજન્ય રોગચાળાના 875થી વધારે કેસ સામે આવ્યાં છે. જ્યારે પાણીજન્ય રોગચાળાના 1100થી વધારે કેસ નોંધાયાં છે. કોલેરાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુના લગભગ 708 જેટલા કેસ નોંધાયાં છે. આવી જ રીતે મલેરિયાના 148 કેસ, ઝેરી મલેરિયાના 22 કેસ, ચિકન ગુનિયાનાનાં 12 કેસ નોંધાયા છે.
પાણીજન્ય રોગચાળમાં ઝાડા ઉલ્ટીનાં 484 કેસ, કમળાના 192 કેસ અને ટાઇફોઇડના 447 કેસ નોંધાયા છે. ખાનગી હોસ્પિટલમાં પણ વાઇરલ ફીવરના કેસો વધ્યા છે. જ્યારે કોલેરાના કેસોમાં ખૂબ જ વધારો થયો છે. ખાસ કરીને અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં વધુ કેસ નોંધાયા છે.
શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાના કેસમાં વધારો થતા મનપાનું આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું છે. તેમજ શહેરના વિવિધ વિસ્તારમાં તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત સરકારી હોસ્પિટલોમાં જરુરી જવા પુરી પાડવામાં આવી રહી છે. બીજી તરફ શહેરની હોસ્પિટલોમાં પણ દર્દીઓથી ઉભરાઈ રહી છે.