રાજસ્થાનમાં ચાંદીપુરા વાયરસને કારણે બે બાળકોનાં મોત
જયપુર, 25 જુલાઈ 2026: રાજસ્થાનમાં ચાંદીપુરા વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ વાયરસથી સંક્રમિત બે બાળકીઓના મોત થયા છે. મૃતકોમાં છ વર્ષની અને બે વર્ષની બાળકીનો સમાવેશ થાય છે. છ વર્ષની બાળકી ડુંગરપુર જિલ્લાની રહેવાસી હતી.
12 જુલાઈના રોજ જ્યારે તે છોકરીની તબિયત બગડી, ત્યારે તેને પહેલાં સિમલાડાની હોસ્પિટલમાં અને ત્યારબાદ મોડાસા શહેરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેની સ્થિતિમાં સુધારો ન થતાં તેને ગુજરાતના બનાસકાંઠાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેનું અવસાન થયું.
બીજી છોકરી સિરોહી જિલ્લાની રહેવાસી હતી. તેને 13 જુલાઈના રોજ ગંભીર હાલતમાં બનાસકાંઠા મેડિકલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ કરવામાં આવી હતી અને 19 જુલાઈના રોજ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.
આરોગ્ય વિભાગે બંને છોકરીઓના લોહીના નમૂના તપાસ માટે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર ખાતે મોકલ્યા હતા, જેમાં પુષ્ટિ થઈ હતી કે બંને ચંડીપુરા વાયરસથી સંક્રમિત હતી.
રાજ્યમાં અત્યાર સુધીમાં ત્રણ બાળકોને ચાંદીપુરા વાયરસનો ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ છે; તેમાંથી બે બાળકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે એક બાળક સારવાર હેઠળ છે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે તાજેતરમાં એક માર્ગદર્શિકા બહાર પાડીને રાજ્યના સાત જિલ્લાઓ જયપુર, ઉદયપુર, કોટા, સિરોહી, બારમેર, બિકાનેર અને ડુંગરપુરને ચાંદીપુરા વાયરસ માટે ‘હાઈ-રિસ્ક’ (વધુ જોખમ ધરાવતા) વિસ્તારો તરીકે જાહેર કર્યા છે.
આ વાયરસ માટે દેશમાં કોઈ રસી કે દવા વિકસાવવામાં આવી નથી. પરિણામે, દર્દીઓની સારવાર એવી દવાઓ દ્વારા કરવામાં આવે છે જે શરીરમાં ચેપને ફેલાતો અટકાવે છે. આ ચેપ ૧૫ વર્ષ સુધીની વયના બાળકોમાં વધુ જોવા મળે છે.
રાજ્યના તબીબી વિભાગના અગ્ર સચિવ ગાયત્રી રાઠોડે જણાવ્યું હતું કે મચ્છરજન્ય રોગોના કેસો પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં ડેન્ગ્યુના 370, મેલેરિયાના 261 અને ચિકનગુનિયાના 66 કેસો નોંધાયા છે.


