
પાલનપુરમાં નિર્માણાધિન બ્રિજ તૂટી પડવાની ઘટનામાં કોન્ટ્રાકટર સહિત 11 સામે ગુનોં નોંધાયો
પાલનપુરઃ શહેરના આરટીઓ સર્કલ પાસે નિર્માણાધીન ઓવરબ્રિજના સ્લેબનો ભાગ તૂટી પડવાના કારણે બે લોકોના મોત થયા બાદ આ મામલે બ્રિજ બનાવી રહેલી કંપનીના સાત ડિરેકટરો અને એન્જિનિયરો મળી 11 સામે સાપરાધ માનવવધનો ગુનો નોંધવામાં આવ્યો છે. બ્રિજની કામગીરી દરમિયાન ગર્ડર નીચે બેરીકેટીંગ અને ટ્રાફિક માર્શલના રાખી ગુનાઈત બેદરકારી દાખવી હોવાના કારણે બે લોકોના મોત થયા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સમગ્ર કેસની તપાસ ડીવાયએસપીને સોંપવામાં આવી છે.
પાલનપુર શહેરના આરટીઓ સર્કલથી અંબાજી જતા રોડ પર રેલવે લાઈન પર હાલ ઓવરબ્રિજનું નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે. નિર્મણાધીન આ બ્રિજના સ્લેબનો ભાગ સોમવારે એકાએક ધડાકાભેર તૂટી પડ્યો હતો. તંત્ર દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવતા એક રિક્ષાચાલક સહિત બે લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. બ્રિજનું કામ ચાલી રહ્યું હોવા છતાં બ્રિજ નીચે કોઈ બેરિકેટીંગ કરાઈ ન હતી અને વાહનવ્યવહાર પણ ચાલુ હોવાનું સામે આવ્યું હતું. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રી દ્વારા તાત્કાલીક ગાંધીનગરથી એન્જિનિયરોની એક ટીમ પાલનપુર મોકલી હતી અને પ્રાથમિક તપાસ સોંપી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ પાલનપુરના આરટીઓ સર્કલ પાસે જે દુર્ઘટના સર્જાઈ છે તે ઓવરબ્રિજનું કામ કરી રહેલી GPC ઈન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડના સાત ડિરેકટરો અને એન્જિનિયરો મળી 11 સામે નેશનલ હાઈવે પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા IPC 304 સહિતની કલમ હેઠળ ગુનો નોંધાવવામાં આવ્યો છે. બ્રિજની કામગીરી ચાલુ હોવા છતા જવાબદાર લોકો દ્વારા બ્રિજની નીચે બેરિકેટિંગ કે ટ્રાફિક માર્શલ રાખ્યા ન હતા. જેના કારણે બે નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.
પાલનપુરમાં ધારાસભ્ય અનિકેત ઠાકરે જણાવ્યું હતું કે, બ્રિજ નબળી કામગીરીને લીધે તૂટી પડ્યો છે. આ રીતે કોઈ કામ ચલાવી ન લેવાય, ખૂબ જ કડક કાર્યવાહી કરવી પડે. આ ઘટના માટે કોન્ટ્રાક્ટરને જ જવાબદાર ગણવો પડે. તેથી સરકારે પણ કોઈની પણ શરમ રાખ્યા વિના કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.