
પ્રાથમિક શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓના માત-પિતા ન હોય તેવા બાળકોની યાદી તૈયાર કરાશે
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં વધઘટ થતી રહે છે. કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે. કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં કેટલાક બાળકોએ પોતાના માત-પિતા ગુમાવ્યા હતા. ઉપરાંત ઘણા એવા પણ બાળકો છે કે તેમના માત-પિતા કે વાલીઓ નથી. આવા બાળકો પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરી રહ્યા છે. નોધારા બાળકોને સરકાર મદદ કરી શકે તે હેતુથી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોના માત-પિતા કે વાલી ન હોય તેવા બાળકોની યાદી તૈયાર કરવાની સરકારે સુચના આપતા શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓને યાદી બનાવવાની સુચના આપી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારની વિવિધ સરકારી યોજનાનો લાભ મળે તે માટે રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં બાળકોના માતા પિતાનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે. પ્રાથમિક સ્કૂલોમાં ભણતા બાળકોના માતા પિતા હયાત ના હોય તેમની યાદી કરવા શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે. બાળકના માતા-પિતા કે બન્નેમાંથી એક હયાત ન હોય તો પણ તેની યાદી મોકલવા જણાવાયું છે. આવા બાળકોને સરકારીની વિવિધ યોજનાની સહાય મળી શકે તે માટે યાદી તૈયાર કરવાની સુચના આપવામાં આવી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, પ્રાથમિક શિક્ષણ નિયામકે તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને પરિપત્ર દ્વારા જાણ કરી છે કે રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓના માતા પિતા પૈકી કોઈ હયાત ન હોય અથવા બંને હયાત ના હોય તેવા વિદ્યાર્થીઓના સર્વે કરવા નિર્ણય કરેલ છે જે અન્વયે સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોન વિદ્યાર્થીઓનો સર્વે કરી આવા વિદ્યાર્થીઓની વિગત સાથે માહિતી તૈયાર કરવાની રહેશે.માહિતી તૈયાર કર્યા બાદ ઈમેલ એડ્રેસ પર હાર્ડ કોપી મોકલવાની રહેશે.