પાકિસ્તાનને વર્ષ 1971ની જેમ બે ટુકડા કરવાની અફઘાનિસ્તાને આપી ધમકી
નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાબિલાનના શાસન બાદ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સંબંધમાં ખટાશ આવી હતી. દરમિયાન પાકિસ્તાને પોતાના દેશમાં વસવાટ કરતા અનેક અફઘાનિસ્તાની શરણાર્થીઓને હાંકી કાઢ્યાં હતા. જેથી બંને દેશો વચ્ચેના સંબંધ વધારે તંગ બન્યાં હતા. દરમિયાન અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના સંબંધોમાં ફરી એકવાર કડવાશ સામે આવી છે. અફઘાનિસ્તાને ધમકી આપતા કહ્યું કે, જો તે નહીં સુધરશે તો પાકિસ્તાનનું વર્ષ 1971 જેવુ થશે. અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનના નાયબ વિદેશ મંત્રી શેર મોહમ્મદ અબ્બાસ સ્ટેનિકઝાઈએ કહ્યું હતું કે, પાકિસ્તાનના બે ટુકડાના ઈતિહાસનું ફરી એકવાર પુનરાવર્તન થશે અને પાકિસ્તાન બે ભાગમાં વહેંચાઈ જશે.
વિદેશ મંત્રી શેર મોહમ્મદ અબ્બાસ સ્ટેનિકઝાઈએ કહ્યું કે, પાકિસ્તાન નકલી ડ્યુરન્ડ લાઇનને માન્યતા આપે છે, અમે આ રેખાને કોઈ માન્યતા આપતા નથી. અફઘાનિસ્તાન પણ આ રેખાની બીજી બાજુ છે. એક રિપોર્ટ અનુસાર, અફઘાનિસ્તાન શરૂઆતથી જ ખૈબર પખ્તુનખ્વા અને ફાટાના કેટલાક વિસ્તાર પર દાવો કરી રહ્યું છે, પરંતુ આ વિવાદ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. જ્યારથી પાકિસ્તાને અફઘાનિસ્તાનમાંથી શરણાર્થીઓને પાછા મોકલવાનું શરૂ કર્યું છે ત્યારથી તણાવ વધ્યો છે.
રિપોર્ટ અનુસાર, તાલિબાને કહ્યું કે, પાકિસ્તાન તેના દેશમાં આતંકવાદીઓને સતત પ્રોત્સાહન આપે છે અને ભારત સહિત ઘણા દેશોમાં આતંકવાદીઓને મોકલવાનો પ્રયાસ કરે છે. હાલમાં જ પાકિસ્તાનથી અફઘાનિસ્તાનની સરહદ પર આતંકવાદીઓને મોકલતી વખતે ગોળીબારના સમાચાર આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધનો ઉલ્લેખ કરીને પાકિસ્તાનના ફરી બે ટુકડાનો અફધાનિસ્તાને ઉલ્લેખ કર્યો છે. એક રિપોર્ટ અનુસાર, વર્ષ 1971માં ભારતે પાકિસ્તાનને ખરાબ રીતે હરાવ્યું હતું, ત્યારબાદ પાકિસ્તાનમાં ભાગલા પડ઼યા હતા અને બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યું હતું.