સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડમાં હિસાબી કામગીરી માટે ખરીદ-વેચાણ બંધ રહેશે
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના મહામારી વચ્ચે માર્ચ એન્ડીંગને કારણે સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડ હિસાબની કામગીરી માટે બંધ રાખવામાં આવશે. રાજકોટ બેડી યાર્ડ 23 માર્ચથી, ગોંડલમાં યાર્ડ 25 માર્ચથી, જસદણમાં 24 માર્ચથી, મહુવામાં 29 માર્ચથી યાર્ડ બંધ રહેશે. આ દરમિયાન જણસની ખરીદ-વેચાણ કરવામાં આવશે નહીં.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ બેડી યાર્ડ આગામી તા. 23 માર્ચથી 31 માર્ચ સુધી સદંતર બંધ રહેશે. આ દિવસો દરમિયાન જણસીની આવક તેમજ હરરાજી વગેરે કામગીરી સંપૂર્ણ બંધ રહેશે. ગોંડલ યાર્ડ પણ આગામી તા. 25 માર્ચથી 1 લી એપ્રિલ સુધી રજા પાળશે. જસદણ માર્કેટીંગ યાર્ડ 24 માર્ચથી 31 માર્ચ સુધી બંધ રહેશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય માર્કેટીંગ યાર્ડો પણ તા.25 માર્ચથી એક અઠવાડિયાની રજા પાળી હિસાબી કામકાજો પૂર્ણ કરશે. મહુવા માર્કેટીંગ યાર્ડ પણ 29મી માર્ચથી ત્રણ દિવસ રજા પાળશે.
રાજકોટ માર્કેટીંગ યાર્ડના સેક્રેટરીના જણાવ્યા અનુસાર વેપારીઓની માંગણીને અનુસંધાને રાજકોટ બેડી યાર્ડ 23 માર્ચથી 10 દિવસ બંધ રહેશે. જોકે શાકભાજી વિભાગ રાબેતા મુજબ ચાલુ જ રહેશે. રજા બાદ તમામ યાર્ડ રાબેતા મુજબ જ શરૂ થઈ જશે.