અમદાવાદઃ શહેર વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યા બાદ શહેરના તમામ હેરિટેજ સ્થળોની વધુ સાર-સંભાળ રાખવાવામાં આવી રહી છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરના હેરિટેજ વિસ્તારમાં આવેલા તમામ ગેટ ઉપર બ્યૂટિફિકેશન અને લાઇટિંગ કરવા માટેની સૂચના આપવામાં આવી હતી. હેરિટેજ ગેટ ઉપર કાયમી ધોરણે લાઇટિંગ અને તેમાં સુંદરતા જળવાઈ રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવશે. હેરિટેજ સ્થળોને નિહાળવા માટે દેશ વિદેશના લોકો આવતા હોય છે, ત્યારે હેરીટેજ ગણાતા ત્રણ દરવાજા, દિલ્હી દરવાજાથી લઈને તમામ દરવાજા પર બ્યુટિફિકેશન અને રંગબેરંગી લાઈટ્સથી સુશોભિત કરાશે. આ ઉપરાંત શહેરના હેરિટેજ સ્થળોએ સફાઈને લઈને પણ ફરિયાદો ઉઠી હતી. જેથી દિવસ દરમિયાન ત્રણથી ચાર વાર સફાઈ કરવામાં આવે તે માટેની સૂચના આપવામાં આવી હતી.
અમદાવાદ મ્યુનિ.ની સ્ટેન્ડિંગ કમિટીની મળેલી બેઠકમાં કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં
મ્યુનિ.ના તમામ પ્લોટોમાં હવે દર 15 દિવસે વોર્ડ ઇન્સ્પેક્ટર દ્વારા ચેકિંગ કરવા માટેની સૂચના પણ આપવામાં આવી હતી. એએમસીના પ્લોટમાં લોકો દબાણ કરી દે છે અને કચરો નાખતા હોય છે. જેથી પ્લોટમાં દબાણ અટકાવવા તેમજ તેમાં સ્વચ્છતા જળવાઈ રહે તેને ધ્યાનમાં રાખીને ચેકિંગ કરી, જ્યાં દબાણ હોય ત્યાં દૂર કરવા સુચના આપવામાં આવી છે. આ ઉપરાંત શહેરના રોડ ઉપર વચ્ચે આવેલા ડિવાઈડરો પર વૃક્ષો વાવેલા છે, તેમાં ટેન્કરથી પાણી આપવાની જગ્યાએ સ્પ્રિન્કલર જેવા મશીનનો ઉપયોગ કરી અને પાણી આપવામાં આવે જેથી વધુ પાણીનો બગાડ ન થાય. તે માટેની પણ સુચના આપવામાં આવી હતી.
સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં એવી પણ ચર્ચા કરવામાં આવી હતી કે, નાગરિકોને ડાયાલિસિસની સુવિધા મળી રહે તેના માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજના અંતર્ગત ગ્રાન્ટમાંથી ડાયાલિસિસ સેન્ટર બનાવવામાં આવી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ચાર જગ્યાએ ડાયાલિસિસ સેન્ટર બનાવવામાં આવ્યા છે. જેમાં બહેરામપુરા વિસ્તારમાં ચેપી રોગ હોસ્પિટલમાં એક ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. થલતેજ સીએચસી, વસ્ત્રાલ સીએચસી અને નરોડા સીએચસી ખાતે ડાયાલિસિસ સેન્ટર બનીને તૈયાર છે. એક સેન્ટરમાં 6 એટલે કુલ 18 યુનિટ ઉભા કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં ત્રણેય સેન્ટર બનીને તૈયાર થઈ જશે. જેથી નાગરિકોને તેનો લાભ મળશે.