સુરેન્દ્રનગરઃ જિલ્લામાં પાટડી અને ખારાઘોડાનો વિસ્તાર કચ્છના નાના રણ તરીકે ઓળખાય છે. અફાટ ગણાતા આ રણના કેટલાક વિસ્તારમાં પાણી ભરાયેલા છે. જેથી મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ શિયાળો ગાળવા માટે આવી પહોચ્યા છે. અને રણના છીછરા પાણીમાં છબછબીયા કરીને રંગબેરંગી પક્ષીઓનો કલરવથી અનોખો નજારો જોવા મળી રહ્યો છે.
કચ્છના નાના રણ વિસ્તારમાં ઠંડીની સીઝનમાં હજારો કિલોમીટરનું અંતર કાપીને વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં વિહાર કરવા માટે આવતા હોય છે. આ વખતે પણ 120 જાતિના વિવિધ રંગબેરંગી પક્ષીઓનો જમાવડો જામ્યો છે. જેમાં ખાસ કરીને ફ્લેમિંગો, સ્પૂન બિલ, કુંજ, ટિલોર, પેરિગ્રીન ફાલકન, રણ ચકલી, નાઈટ જાર, ડેમોલિન, જેવા અલગ અલગ જાતના પક્ષીઓ જોવા મળી રહ્યા છે.
કચ્છના નાના રણનો વિસ્તાર 4953 ચોરસ કિલોમીટર એરિયામાં ફેલાયેલો છે. રણમાં ઠંડીની સીઝનમાં વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે. રણની અંદર પોતે મહેમાનગતી માણતા હોય છે. આ પક્ષીઓનો નજારો માણવા માટે દેશ-વિદેશના પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે છે. અને આ રણની અંદર આવેલા પક્ષીઓને એકસાથે હજારોની સંખ્યામાં નિહાળવા તે એક લહાવો છે. હાલ યુરોપ જેવા દેશોમાં બરફ વધુ હોવાથી પક્ષીઓ આ રણ વિસ્તારમાં આવતા હોય છે. લગભગ ચાર મહિના જેટલા સમય આ વિસ્તારમાં રહેતા હોય છે. કચ્છના રણ વિસ્તારમાં પક્ષીઓને પૂરતો ખોરાક મળી રહે છે. તેમજ સલામતી અને વાતાવરણ પણ અનુકૂળ હોવાથી દર વર્ષે વિદેશી પક્ષીઓ રણ વિસ્તારના મહેમાન બને છે. આ પક્ષીઓને કોઈ જાતની તકલીફ ન પડે , તેમને કોઈ ડિસ્ટર્બ ન કરે તે માટે વન વિભાગ દ્વારા પણ કાળજી લેવામાં આવે છે. રણ અભયારણ્યમાં પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. જેમાં ચાલુ વર્ષે પ્રવાસીઓની સંખ્યા કુલ 2650થી વધુ જોવા મળી છે. જેમાં ભારતીય પ્રવાસી 2500 જેટલા, જ્યારે 175 જેટલા વિદેશી પ્રવાસીઓએ રણ અભ્યારણની મુલાકાત લીધી હતી.