અટારી-વાઘા બોર્ડર પર આજે સાંજે યોજાનારી બીટિંગ રિટ્રીટ કાર્યક્રમને રદ્દ કરવામાં આવ્યો છે. અધિકારીઓએ આ નિર્ણય ભારતીય વાયુસેનાના અધિકારી વિંગ કમાન્ડર અભિનંદનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. વિંગ કમાન્ડર અભિનંદની પાકિસ્તા દ્વારા ભારતને સોંપણી પહેલા આના સંદર્ભે અહેવાલો આવ્યા હતા.
વિંગ કમાન્ડર અભિનંદનને રિસીવ કરવા માટે વાયુસેનાના ઘણાં અધિકારીઓ અટારી બોર્ડર પર પહોંચ્યા છે. તો વિંગ કમાન્ડરના આવવાની ખુશીમાં ઘણાં લોકો ફૂલમાળા અને ઢોલનગારા સાથે તેમના સ્વાગત માટે અહીં પહોંચ્યા છે અને સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા છે.
મહત્વપૂર્ણ છે કે વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાની ફાઈટર જેટનો પીછો કરતા એલઓસી પાર કરી ગયા હતા. ત્યારે તેમનું મિગ-21 ક્રેશ થઈ ગયું હતું. બાદમાં તેમણે પેરાશૂટની મદદથી વિમાનમાંથી છલાંગ લગાવી હતી. તેઓ પાકિસ્તાનના નિયંત્રણવાળા ક્ષેત્રમાં પેરાશૂટથી ઉતર્યા હતા. અહીં તેમને એરેસ્ટ કરવામાં આવ્યા હતા.
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પાકિસ્તાનની સંસદના સંયુક્ત સત્રમાં એલાન કર્યું હતું કે શાંતિની કોશિશોને આગળ વધારતા તેઓ ભારતીય પાયલટને શુક્રવારે મુક્ત કરશે. ઈમરાન ખાનના એલાન બાદ શુક્રવારે વિંગ કમાન્ડર અભિનંદનની ભારત વાપસી થઈ રહી છે.
પહેલા પણ રોકવામાં આવ્યો હતો બીટિંગ રિટ્રીટ કાર્યક્રમ
2014માં વાઘા બોર્ડર પર પાકિસ્તાન દ્વારા ફિદાઈન હુમલામાં 61 લોકોના મોત બાદ બંને દેશોએ ત્રણ દિવસ સુધી બીટિંગ રિટ્રીટ રદ્દ કરી હતી. પરંતુ આખરી સમયે પાકિસ્તાને પલટી મારી હતી અને તેણે પોતાના તરફથી બીટિંગ રિટ્રીટ કરી લીધી હતી. પરંતુ ભારત પાસે છેલ્લી ઘડીએ સમય નહીં હોવાના કારણે તેને કરી શક્યું ન હતું.
1965 અને 1971માં ભારત અને પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન બીટિંગ રિટ્રીટ થઈ ન હતી. આ કાર્યક્રમમાં બંને દેશોના ધ્વજ ઉતારવાની મુખ્ય સેરેમની લગભગ 156 સેકન્ડ ચાલે છે. તે વખતે બંને દેશોના જવાનો માર્ચ કરીને બોર્ડર સુધી આવે છે. પાકિસ્તાન તરફથી રેન્જર્સ અને ભારત તરફતી બીએસએફના જવાનો આમા સામેલ થાય છે.
વાઘા અમૃતસરથી 32 કિલોમીટર અને લાહોરથી 22 કિલોમીટર દૂર છે. આ કાર્યક્રમ દરમિયાન બંને દેશોના ગાર્ડ નાકથી નાકની બરાબરી સુધી આવે છે. જવાન માર્ચ દરમિયાન પોતાના પગને જેટલા ઉંચે લઈ જાય છે, તેને તેટલા શ્રેષ્ઠ માનવામાં આવે છે.