1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા પહેલા જ ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યું
યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા પહેલા જ ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યું

યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા પહેલા જ ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યું

0
Social Share

પાલનપુર : યાત્રાધામ અંબાજીમાં ભરાતા ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગત વર્ષે કોરોનાની મહામારીના કારણે અંબાજી ભાદરવી પૂનમનો મેળો મુલતવી રખાયો હતો. જોકે ચાલુ વર્ષે પણ મેળો યોજાશે કે કેમ તેની અસમંજસ વચ્ચે યાત્રિકોએ વહેલી પદયાત્રા શરૂ કરી છે, અને મેળા શરૂ થવાના પહેલા જ માતાજીના દર્શને પહોંચી નવરાત્રિ માટેનું નિમંત્રણ આપવાનું આયોજન કરાયું હોય તેમ અંબાજીમાં યાત્રિકોનો ઘસારો દિનપ્રતિદિન વધતો જઈ રહ્યો છે.  શનિવારે અંબાજી પંથકમાં ઝરમરતા વરસાદ વચ્ચે પણ દાહોદ જિલ્લાના લીમખેડાથી દિપોરામ ગ્રુપ દ્વારા સૌથી લાંબી 1111 ગજની ધજા સાથે નીકળેલો પગપાળા સંઘ અંબાજી આવી પહોંચ્યો હતો. સંઘના 151 જેટલા પદયાત્રીઓ દ્વારા એક કિલોમીટર જેટલી લાંબી ધજાને માતાજીના મંદિરે ચઢાવવામા આવી હતી. જોકે આટલી લાંબી ધજા સમગ્ર લીમખેડા વિસ્તારના આસ્થાનું પ્રતિક માનવામાં આવી રહ્યું છે. નવરાત્રિમાં મા અંબેને તેડુ આપવા અંબાજી પહોંચી ગયા હતા.

યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનું સવિશેષ મહાતમ છે. અને લાકો યાત્રિકો માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે. જો કે કોરોનાની ત્રીજી લહેરની દહેશત વચ્ચે ચાલુ વર્ષે મેળો યોજાશે કે નહિ કે પછી મંદિર પણ ખુલ્લું રહેશે કે બંધ તેની કોઈ વિધિવત જાહેરાત કરાઈ નથી. પણ મેળો મુલતવી રહે ને મંદિર પણ બંધ રહેવાની શક્યતાઓને ધ્યાને લઈ આ વખતે પદયાત્રીઓ મેળા પૂર્વે જ પોતાની યાત્રા શરૂ કરી દીધી છે. હાલ અંબાજીમાં મેળા જેવો જ માહોલ જોવા મળી રહ્યો છે. સાથે જ્યાં મેળો 14 સપ્ટેમ્બરે શરૂ થવાની શક્યતાઓ પૂર્વે જ અરવલ્લીની ડુંગરીઓ વચ્ચે પસાર થતા અંબાજીના માર્ગો બોલમાડી અંબે જય જય અંબેના નાદથી ગુંજવા લાગ્યા છે. અનેક સંઘોના પદયાત્રીઓ માતાજીનો રથ ખેંચી અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે. એક ટેક પૂરી કરવા અંબાજી પહોંચી રહ્યાં હોય તેવો ઉત્સાહ પદયાત્રીઓમાં જોવા મળી રહ્યો છે. એટલું જ નહિ મેળો યોજાશે કે કેમ, મંદિર ચાલુ રહેશે કે બંધ તે અંગેની જાહેરાત મંદિર ટ્રસ્ટ કે સરકારે વહેલા કરવી જોઈએ તેવી પણ માંગ કરી હતી. જેથી સેંકડો કિલોમીટર દૂરથી પદયાત્રાનું આયોજન કરનારાઓને જાણ થઇ શકે. જોકે આવા પદયાત્રીઓની સેવા માટે અનેક સેવા કેમ્પો કાર્યરત થતા હોય છે. પણ ચાલુ વર્ષે પદયાત્રીઓ તો અંબાજી જઈ રહ્યા છે, પણ રસ્તામાં એક પણ સેવા કેમ્પ જોવા મળતો નથી.

હાલમાં અંબાજીના ભાદરવી પૂનમના મેળાની કોઈ પણ પ્રકારની જાહેરાત કરાઈ નથી. બીજી તરફ પદયાત્રીઓ સંઘ સાથે માતાજીના રથ લઈ અંબાજી પહોંચી રહ્યા છે. ત્યારે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે પણ અંબાજી પહોંચી રહેલા પદયાત્રીઓ માટેની સુવિધાને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જોકે મંદિરની તૈયારીઓને જોતા મેળો યોજાશે કે કેમ તે એક યક્ષ પ્રશ્ન બની રહ્યો છે. જોકે આ બાબતે હજી મંદિર ટ્રસ્ટના અધિકારીઓ કંઈ પણ કહેવા તૈયાર નથી.  ( ફાઈલ ફોટો )

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code