બ્લુ ઇકોનોમીને વેગ: ભારતના મત્સ્યઉદ્યોગ ક્ષેત્રમાં 106 ટકાનો અભૂતપૂર્વ વધારો
નવી દિલ્હી, 6 એપ્રિલ 2026: ભારત આજે વિશ્વનો બીજો સૌથી મોટો મત્સ્ય ઉત્પાદક દેશ બનીને ઉભરી આવ્યો છે. કેન્દ્રીય બજેટ 2026-27માં આ ક્ષેત્ર માટે અત્યાર સુધીની સૌથી વધુ રૂ. 2,761.80 કરોડની વાર્ષિક ફાળવણી કરવામાં આવી છે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (PMMSY) અને આધુનિક ટેકનોલોજીના સમન્વયથી ભારતે મત્સ્ય ઉત્પાદનમાં છેલ્લા દાયકામાં 106 ટકાનો નોંધપાત્ર વધારો નોંધાવ્યો છે.
સરકારી આંકડાઓ મુજબ, વર્ષ 2013-14માં મત્સ્ય ઉત્પાદન 95.79 લાખ ટન હતું, જે વર્ષ 2024-25માં વધીને 197.75 લાખ ટન થવાનો અંદાજ છે. આ વૃદ્ધિ ગ્રામીણ અને દરિયાકાંઠાના અર્થતંત્ર માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. સીફૂડ નિકાસમાં પણ ભારત નવો ઈતિહાસ રચી રહ્યું છે, જે ચાલુ નાણાકીય વર્ષમાં રૂ. 62,408 કરોડ સુધી પહોંચવાની ધારણા છે. ફ્રોઝન ઝીંગા ભારતની મુખ્ય નિકાસ પ્રોડક્ટ છે, જેમાં અમેરિકા અને ચીન મોટા બજારો છે.
સરકારે માછીમારોને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અનેક પગલાં લીધા છે: 4.39 લાખથી વધુ માછીમારોને KCC હેઠળ લોન આપવામાં આવી છે. મત્સ્યઉદ્યોગ માટે ધિરાણ મર્યાદા રૂ. 2 લાખથી વધારીને રૂ. 5 લાખ કરવામાં આવી છે. અંદાજે 3.3 મિલિયન (33 લાખ) લાભાર્થીઓને વીમા કવચ પૂરું પાડવામાં આવ્યું છે. વર્ષ 2014-15થી અત્યાર સુધીમાં આ ક્ષેત્રમાં અંદાજે 74.66 લાખ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઊભી થઈ છે.
મત્સ્યઉદ્યોગમાં હવે પરંપરાગત પદ્ધતિઓને બદલે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે. PMMSY હેઠળ, રૂ. 902.97 કરોડના ખર્ચે રિસર્ક્યુલેટિંગ એક્વાકલ્ચર સિસ્ટમ્સ અનુસાર 12,081 યુનિટ્સ મંજૂર કરાયા છે, જેમાં પાણીનો રિસાયકલ કરીને ઓછી જગ્યામાં વધુ માછલી ઉછેરી શકાય છે. રૂ. 523.30 કરોડના રોકાણ સાથે બાયો-ફ્લોક ટેકનોલોજીના 4,205 યુનિટ્સ મંજૂર થયા છે, જે પર્યાવરણને અનુકૂળ મત્સ્ય ઉછેરને પ્રોત્સાહન આપે છે.
સરકારે સપ્ટેમ્બર 2024માં રાષ્ટ્રીય મત્સ્યઉદ્યોગ ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે, જેમાં અત્યાર સુધીમાં 30.60 લાખથી વધુ હિસ્સેદારો નોંધાયા છે. આ ઉપરાંત, ‘મિશન અમૃત સરોવર’ હેઠળ જળાશયોનો વિકાસ કરીને આંતરદેશીય માછીમારીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ભારતના 11,099 કિમી લાંબા દરિયાકાંઠા અને એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોનના ટકાઉ સંચાલન માટે નવા નિયમો પણ લાગુ કરવામાં આવ્યા છે. મત્સ્યઉદ્યોગ ક્ષેત્ર આજે માત્ર ખેતીનો પૂરક વ્યવસાય નથી રહ્યો, પરંતુ તે કૃષિ GVA માં 7.43 ટકાનો ફાળો આપીને ભારતને પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવા તરફ દોરી રહ્યું છે.
આ પણ વાંચોઃ યુદ્ધ વચ્ચે ભારત શાંતિ સ્થાપવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે: ઈરાન


