અમદાવાદમાં BRTSની ઈલેક્ટ્રીક બસો લોડ ઉપાડી શકતી નથી, બસમાંથી પ્રવાસીઓને ઉતારી દીધા,
અમદાવાદઃ મોંઘાદાટ પેટ્રોલ-ડિઝલના વિકલ્પમાં ઈલેક્ટ્રિક વાહનોનો વપરાશ વધતો જાય છે. હવે તો જાહેર પરિવહનની બસો પણ ડીઝલ કે સીએનજીના સ્થાને ઈલેક્ટ્રિક બસો સેવામાં મુકવામાં આવી રહી છે. ત્યારે કરોડો રૂપિયાના ખર્ચે ખરીદાયેલી ઈલેક્ટ્રીક બસો પ્રવાસી લોડ ઉપાડી શકતી ન હોવાની બસના ડ્રાઈવરો જ ફરિયાદ કરી રહ્યા છે. અમદાવાદ શહેરમાં બીઆરટીએસની ઈલેક્ટ્રિક બસમાં આવી ફરિયાદો ઊઠી છે. બસના ડ્રાઈવરોની એવી ફરિયાદો કરી રહ્યા છે કે, ઈલેક્ટ્રિક બસ પ્રવાસી લોડ સહન કરી શકતી નથી. બેટરી પણ તરત ઉરતી જાય છે. બસ તેની સ્પિડ પણ પકડી શકતી નથી. એટલે રગશિયા ગાડાની જેમ બસને ધીમી ચલાવવી પડે છે. જ્યારે બીજી બાજુ બીઆરટીએસના ચાલકો બસને અધવચેળે ઊભી રાખીને પ્રવાસીઓને ઉતારી દેતા હોવાની પણ ફરિયાદો ઊઠી છે.
અમદાવાદમાં છેલ્લા બે દિવસથી રાત્રે 8 વાગ્યે આરટીઓ સર્કલથી ઉપડતી બીઆરટીએસ 12 નંબરની બસને ડ્રાઈવર દ્વારા અંજલી ચાર રસ્તા અથવા તો દાણીલીમડાની આસપાસ જ્યારે પહોંચે ત્યારે કોઇ કારણોસર બસ બગડી ગઈ છે અથવા બંધ પડી ગઈ છે તેમ કહીને પ્રવાસીઓને ઉતારી દેવામાં આવે છે. બે દિવસથી આ રીતે પેસેન્જરો હેરાન થઈ રહ્યા છે. ત્યારે ગત રાત્રે પેસેન્જરોએ અંજલી ચાર રસ્તા પાસે બસ ઉભી રાખતા હોબાળો મચાવ્યો હતો. પેસેન્જરોએ ભેગા મળી હલ્લાબોલ કર્યો હતો.
શહેરમાં બીઆરટીએસ બસના ચાલકો દ્વારા બસમાં એસી બંધ કરી દેવામાં આવતું હોવાની પણ ફરિયાદો ઊઠી છે. જ્યારે બસના ડ્રાઈવરો એવી દલીલ કરી રહ્યા છે. કે, બસમાં પ્રવાસીઓ વધુ હોય ત્યારે લોડ રહેતો હોય બસ પીકઅપ પકડી શકતી નથી. એટલે એસી બંધ કરવાની ફરજ પડે છે. આ અંગે અમદાવાદ જનમાર્ગ લિમિટેડના અધિકારીના કહેવા મુજબ ઇલેક્ટ્રીક બસમાં ઉનાળાની ગરમી, પ્રવાસી લોડ અને એસીને લીધે ચાર્જિંગ ઓછું થઈ જતું હોય છે તેના કારણે આ સમસ્યા ઉભી થઇ છે. ઉનાળાનો સમય તેમજ પેસેન્જર ઓવરલોડ હોવાના કારણે બેટરી ઉતરી થઈ જતી હોવાના કારણે બસની સ્પીડ ઘટી જાય છે. જેના કારણે બસને તાત્કાલિક ડેપોમાં મોકલવી પડતી હોય છે. આ એક ટેકનિકલ પ્રોબ્લેમ છે.