બિહારમાં કેબિનેટ વિસ્તરણ: CM ચૌધરીની ટીમમાં અનેક નવા ચહેરા, નીતીશ કુમારના પુત્ર નિશાંતે પણ લીધા શપથ
પટના, 7 મે 2026: બિહારમાં આજે રાજકીય ગરમાવા વચ્ચે મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના નેતૃત્વ હેઠળની કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. પટનાના ગાંધી મેદાન ખાતે યોજાયેલા ભવ્ય શપથ ગ્રહણ સમારોહમાં વરિષ્ઠ નેતાઓ અને નવા ચહેરાઓ સહિત અનેક ધારાસભ્યોએ મંત્રી પદના શપથ લીધા હતા. આ વિસ્તરણમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર પૂર્વ સીએમ નીતીશ કુમારના પુત્ર નિશાંત કુમાર રહ્યા હતા, જેમણે મંત્રી તરીકે નવી ઇનિંગ શરૂ કરી છે.
રાજ્યપાલ સૈયદ અતા હસનૈને તમામ નવા મંત્રીઓને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. શપથ ગ્રહણ દરમિયાન અનોખો સમન્વય જોવા મળ્યો હતો. પ્રથમ જૂથમાં શ્રવણ કુમાર, વિજય કુમાર સિન્હા, દિલીપ જયસ્વાલ, નિશાંત કુમાર અને લેશી સિંહે એકસાથે શપથ લીધા હતા. બીજા જૂથમાં ભગવાન સિંહ કુશવાહા, અરુણ શંકર પ્રસાદ, મદન સાહની, સંતોષ સુમન અને રમા નિષાદે મંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતા. આ ઉપરાંત રત્નેશ સાદા, શૈલેન્દ્ર ઉર્ફે બુલો મંડળ, શીલા કુમારી મંડળ, કેદાર પ્રસાદ ગુપ્તા અને લખેન્દ્ર રૌશને પણ કેબિનેટમાં સ્થાન મેળવ્યું છે.
પૂર્વ મુખ્યમંત્રી નીતીશ કુમારના પુત્ર નિશાંત કુમારે સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી કરતા મંત્રી પદના શપથ લીધા છે. આ સાથે જ વિજય સિન્હા અને લેશી સિંહે પણ મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો છે. મંત્રીમંડળમાં અનુભવી નેતાઓ સાથે યુવા જોશને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. શપથ ગ્રહણની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, રાજ્યપાલ સૈયદ અતા હસનૈને સમારોહના સમાપનની અનુમતિ આપી હતી. ત્યારબાદ રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની ઔપચારિક પૂર્ણાહુતિ જાહેર કરવામાં આવી હતી. આ વિસ્તરણ બાદ હવે ટૂંક સમયમાં જ નવા મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરવામાં આવશે.


