
ગુજરાત સહિત 5રાજ્યમાં અગ્નિશામક સેવાઓના વિસ્તરણ અને આધુનિકીકરણ માટે પ્રોજેક્ટ્સને કેન્દ્રની મંજૂરી
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતા હેઠળની ઉચ્ચ સ્તરીય સમિતિએ અગ્નિશામક સેવાઓના વિસ્તરણ અને આધુનિકીકરણ માટેની યોજના હેઠળ પાંચ રાજ્યો માટે એક હજાર 604 કરોડથી વધુ રૂપિયાના પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આ રાજ્યોમાં ગુજરાત સહિત બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર અને કેરળ નો સમાવેશ છે.
સમિતિએ ઓક્ટોબર 2023 દરમિયાન સિક્કિમમાં વિનાશક ગ્લેશિયર તળાવ ફાટવા અને પૂરને કારણે થયેલા વિનાશ બાદ પુનર્નિર્માણ જરૂરિયાતો માટે પાંચસો પંચાવન કરોડથી વધુની રકમને પણ મંજૂરી આપી હતી. સરકારે દેશમાં આપત્તિઓનું અસરકારક સંચાલન સુનિશ્ચિત કરવા માટે ઘણી પહેલ કરી છે. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન કેન્દ્ર સરકારે રાજ્ય આપત્તિ રાહત ભંડોળ હેઠળ 28 રાજ્યોને 19 હજાર કરોડ રૂપિયાથી વધુ અને રાજ્ય આપત્તિ ઘટાડા ભંડોળ હેઠળ 16 રાજ્યોને ત્રણ હજાર 229 કરોડ રૂપિયાથી વધુ રકમ જારી કરી છે.