
અંબાજીઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે. અને બીજા તબક્કાની 93 બેઠકોની ચૂંટણી આગામી તા. 5મી ડિસેમ્બરે યોજાશે. ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે તમામ જિલ્લાઓમાં પ્રયાસો હાથ ધરાયા છે. જેમાં દાંતા વિધાનસભા મત વિસ્તારમાં મતદાર જાગૃત અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આનંદ પટેલની સુચના અનુસાર તથા નોડલ ઓફિસર સ્વીપ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વિનુ પટેલના માર્ગદર્શન હેઠળ વર્ષ-2017 વિધાનસભા ચૂંટણીમાં ઓછું મતદાન થયું હોય તેવા મત વિસ્તારોમાં વધુને વધુ મતદાન થાય તેમજ સો ટકા મતદાનના લક્ષ્યાંકને પૂર્ણ કરવાના ભાગરૂપે મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેમાં અંબાજીમાં પ્રાથમિક શાળાના બાળકોએ મતદાન જાગૃતિ માટે રેલી યોજી હતી.અને નાના બાળકોએ વડિલોએ મતદાન કરવાનો સંદેશ આપ્યો હતો.
દાતા તાલુકામાં મતદાન મોટી સંખ્યામાં થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા મતદાર જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં અંબાજી ખાતે ગુજરાતી સ્કૂલના બાળકો દ્વારા મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અંબાજી ગુજરાતી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા મોટી સંખ્યામાં મતદાન જાગૃતિ રેલીમાં જોડાયા હતા. બાળકોએ હાથમાં પોસ્ટરો લઈ અંબાજીના વિવિધ માર્ગો પર ફરી લોકોને જાગૃતિ કર્યા હતા. જેમાં અંબાજી વિસ્તારમાં રહેતા મતદારોને વધુથી વધુ મતદાન કરવાના સંદેશ સાથે અપીલ કરી હતી.
દાંતા મત વિસ્તારમાં આદિવાસી મતદારો સૌથી વધુ છે, નાના ગામડાંઓ અને કસબાઓમાં આદિવાસી પરિવારો વસવાટ કરે છે. દાંતા તાલુકામાં વધુ મતદાન થાય તે માટે છેલ્લા પખવાડિયાથી તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.