
ભાવનગરઃ ગોહિલવાડના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવાની માગ સાથે કોંગ્રેસે ભાવનગરમાં રેલી યોજી કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી. અખંડ ભારતની રચના માટે સમગ્ર ભારત દેશમાં સૌ પ્રથમ રજવાડું રાષ્ટ્રને અર્પણ કરનારા મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્નથી નવાજવાની માગ સાથે કોંગ્રેસ દ્વારા મહારાજાનાં ફોટાવાળા ટીશર્ટ પહેરીને રેલી યોજી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી.
ભાવનગરના પ્રજા વત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્નથી નવાજવામાં આવે તેવી ભાવનગરનાં નાગરિકો તેમજ ભાવનગર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિની લાગણી તેમજ માંગણી છે. તે લાગણી સરકાર સુધી પહોંચાડવા મહારાજ શ્રીકૃષ્ણકુમારસિંહજીનાં ફોટા સાથેના ટીશર્ટ પહેરી મહારાજ કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા, નિલમબાગ સર્કલથી કલેક્ટર ઓફિસ પગપાળા રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપી મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્નથી નવાજવામાં આવે તેવી માગ કરી હતી.
ભાવનગરનાં નેકનામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ પ્રજાને પીવાનાં પાણી માટે બોરતળાવ અને ગંગાજળીયા તળાવ, આરોગ્ય માટે સર ટી.હોસ્પિટલ, શિક્ષણ માટે માજીરાજ કન્યા શાળા, કુમારશાળા, શામળદાસ કોલેજ, સાયન્સ કોલેજ, આર્યુવેદ કોલેજ, મંદિરોમાં તખતેશ્વર મહાદેવ, જશોનાથ મહાદેવ, ગંગાદેરી, જેવા અનેક ધાર્મિક સ્થળોના નિર્માણ ઉપરાંત તેઓની દીર્ઘ દ્રષ્ટિથી ગટર લાઇન આખા વિશ્વમાં પ્રખ્યાત છે અને લોકોને હરવા ફરવા માટે પિલગાર્ડન, મોતીબાગ, મહિલા બાગ, જેવા બગીચા બનાવ્યા હતા. તેમજ રેલવે લાઇન અને લોકોની સુખાકારી માટેના કાર્યો કર્યા હતા. આજે પણ ભાવનગર જિલ્લાના તમામ લોકો મહારાજાને યાદ કરે છે. મહારાજા કૃષ્ણકૂમારસિંહજીનો ફોટો ભાવનગર શહેરમાં ઘેર ઘેર જોવા મળશે. કોંગ્રેસ દ્વારા પણ મહારાજા કૃષ્ણકૂમારસિંહજીને ભારત રત્નથી નવાજવાની માગણી કરવામાં આવી છે.