સિંઘમ અગેઈન અને ભૂલ ભુલૈયા-3ની સ્ક્રીન ફાળવણીનો વિવાદ વકર્યો, મામલે કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા પાસે પહોંચ્યો
મુંબઈઃ દિવાળીના અવસર પર સિનેમાઘરોમાં ધમાકો થવા જઈ રહ્યો છે. એક સાથે બે મોટી અને શાનદાર ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. એક કાર્તિક આર્યનની ભૂલ ભુલૈયા 3 અને બીજી અજય દેવગનની સિંઘમ અગેઈન. બંને ફિલ્મોને લઈને ઘણી ચર્ચા છે. ભૂલ ભુલૈયા 3 અને સિંઘમ અગેઇનના નિર્માતાઓ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરવા માટે કમર કસી રહ્યા છે. બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર ટક્કર આપવા માટે તૈયાર છે. દરમિયાન, ‘ભૂલ ભુલૈયા 3’નું નિર્માણ કરતી ટી-સિરીઝે કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાનો સંપર્ક કર્યો છે.
અહેવાલ મુજબ, રોહિત શેટ્ટી અને સિંઘમ અગેઈનના નિર્માતાઓએ ભારતની સૌથી મોટી થિયેટર ચેઈન પીવીઆર આઈનોક્સને તેમની ફિલ્મ માટે 60% શો ફાળવવા માટે રાજી કર્યા છે. વધુમાં, કેટલાક સિંગલ સ્ક્રીન થિયેટરોને તમામ શો સિંઘમ અગેઇનને સમર્પિત કરવા માટે કહેવામાં આવ્યું છે. જ્યારે બે મોટી ફિલ્મો ટકરાય છે, ત્યારે નિર્માતાઓ વિતરકોને સમજાવવામાં વ્યસ્ત હોય છે. ભૂષણ કુમારની ટી-સીરીઝે સ્ક્રીન ફાળવણી વિવાદમાં હસ્તક્ષેપ કરવા માટે કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)નો સંપર્ક કર્યો છે. પ્રોડક્શન હાઉસ ભારતમાં મુખ્ય થિયેટરોમાં 50-50 સ્ક્રીન શેરિંગની માંગ કરી રહ્યું છે. CCI એક નિયમનકારી સંસ્થા છે જે સ્વસ્થ સ્પર્ધા દ્વારા આર્થિક વૃદ્ધિ અને ગ્રાહક કલ્યાણને પ્રોત્સાહન આપવા માટે જવાબદાર છે.


