
દિવાળી ખરીદીઃ મીઠાઈની કિંમતમાં 20થી 30 ટકાનો વધારો
અમદાવાદઃ દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી જ રહ્યાં છે અને લોકો દિવાળીની તૈયારીમાં જોતરાયાં છે. બીજી તરફ મોંઘવારીની અસર લોકોની ખરીદી ઉપર પણ જોવા મળી રહી છે. ચાલુ વર્ષે ફટાકડાની કિંમતમાં 30થી 40 ટકા વધારા સાથે હવે મીઠાઈની કિંમતમાં 20થી 30 ટકાનો વધારો થયો છે.
દિવાળીમાં ફટાકડા, નવા કપડાની ખરીદી સાથે લોકો મીઠાઈની પણ કરી રહી છે. આ વર્ષે મીઠાઇની ડિમાન્ડ વધી છે. જેથી વેપારીઓને આ દિવાળી ફળશે તેવી આશા છે. દીવાળીમાં અને નવા વર્ષમાં ઘરે આવતા મહેમાનોને મો મીઠું કરવાની પરંપરા છે જેથી દિવાળી સમયે મીઠાઈની ધૂમ ખરીદી કરવામાં આવતી હોય છે. એક સમય હતો જ્યારે મગજના લાડુ મોહનથાળ ટોપરાપાક જેવી પરંપરાગત મીઠાઈ મળતી હતી પરંતુ બદલાતા જતા સમયમાં મીઠાઈઓમાં પણ વિવિધતા જોવા મળે છે.
મીઠાઈની વાત કરીએ તો ખજૂર, ડ્રાયફ્રૂટ, મધમાંથી બનાવેલ મીઠાઈ લોકો વધુ પસંદ કરે છે. તો સ્યુગરફ્રી મીઠાઈ પણ હેલ્થ કોન્સિયશ લોકો પસંદ કરે છે. વધતી જતી મોંઘવારીની અસર મીઠાઈ બજાર પર પણ જોવા મળે છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મીઠાઈમાં 20 થી 30 ટકાનો ભાવ વધારો થયો છે. જો કે ભાવ વધારો થયો હોવા છતાં લોકો વત્તા ઓછા અંશે મીઠાઈ ખરીદી તહેવારની ઉજવણી કરવાનું પસંદ કરે છે.