1. Home
  2. ગુજરાતી
  3. શું તમને નાગેશ્વર અને નાગેશ્વરીનો ઈતિહાસ ખબર છે? તો જાણો
શું તમને નાગેશ્વર અને નાગેશ્વરીનો ઈતિહાસ ખબર છે? તો જાણો

શું તમને નાગેશ્વર અને નાગેશ્વરીનો ઈતિહાસ ખબર છે? તો જાણો

0
Social Share

શિવ ભગવાનની મહિમા એવી છે કે ભાગ્ય જ કોઈ વ્યક્તિ એવું હશે કે જેને શિવજી વિશે વધારે જાણકારી હોય, શિવજીના મંદિર ભારતમાં હજારોની સંખ્યામાં હશે અને શિવભક્તોની સંખ્યા તો કરોડોમાં હશે આવામાં જો વાત કરવામાં આવે શિવજી અને માતા પાર્વતીના નાગેશ્વર અને નાગેશ્વરીના સ્વરૂપ વિશે તો તે અદભૂત છે.

જાણકારી અનુસાર નાગેશ્વર ધામ એ શ્રીકૃષ્ણની દ્વારિકા નગરીમાં સ્થિત છે. દ્વારિકાથી તેનું અંતર લગભગ 16 કિ.મી. જેટલું છે. નાગેશ્વર ધામ જેટલું અહીંના મંદિર અને જ્યોતિર્લિંગ માટે પ્રસિદ્ધ છે, તેટલું જ પ્રસિદ્ધ છે ભવ્ય કદ ધરાવતી શિવ પ્રતિમા માટે. લગભગ સવાસો ફૂટ ઊંચી અને ચોવીસ ફૂટ પહોળી શિવ પ્રતિમા ભક્તોને જાણે સાક્ષાત શિવ દર્શનની અનુભૂતિ કરાવે છે અને તેના દર્શન બાદ જ ભક્તો મંદિરમાં પ્રવેશ કરે છે.

કથા અનુસાર દેવાધિદેવ મહાદેવ અને માતા પાર્વતી આ પાવનધરા પર નાગ-નાગણીના રૂપે પ્રગટ થયા હતા અને પછી એ જ રૂપમાં અહીં સ્થિર રહેવાનું તેમણે તેમના ભક્તોને વચન આપ્યું હતું. એ જ કારણ છે કે જે શ્રદ્ધાળુઓ અહીં મહેશ્વરના દર્શનાર્થે આવે છે.

પ્રચલિત કથા અનુસાર નાગેશ્વરની આ ભૂમિ પર પ્રાચીન સમયમાં ગાઢ વન હતું. દારુકા નામની રાક્ષસી અને તેના પતિ દારુકનું આ ભૂમિ પર આધિપત્ય હતું. ખાસ વાત તો એ છે કે રાક્ષસી દારુકા માતા પાર્વતીની ભક્ત હતી. દેવીએ પ્રસન્ન થઈ તેને જંગલને ગમે ત્યાં લઈ જવાનું વરદાન આપ્યું હતું. પત્નીને મળેલા વરદાનથી અસુર દારુક વધુ ઉદ્ધત બન્યો અને લોકોને રંજાડવાનું શરૂ કર્યું. એકવાર તેણે શિવજીના જ પરમ ભક્ત સુપ્રિયને બંદી બનાવી દીધો.

સુપ્રિય તો શિવપૂજન સિવાય ભોજન પણ ગ્રહણ ન કરતો. કેદખાનામાં રહીને પણ તે શિવપૂજા કરવાનું ન ચૂક્યો. એટલું જ નહીં તેણે અન્ય બંદીઓને પણ શિવભક્તિ તરફ વાળ્યા. દારુકને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તે અત્યંત ક્રોધે ભરાયો અને સુપ્રિયને મારવા દોડ્યો. સુપ્રિયએ આસ્થા સાથે શિવજીનું સ્મરણ કર્યું અને કહે છે કે ભક્ત વત્સલ ભગવાન તુરંત જ દોડી આવ્યા.

દંતકથા અનુસાર શિવ-પાર્વતી આ ભૂમિ પર નાગેશ્વર અને નાગેશ્વરી રૂપે પ્રગટ થયા. શિવજીએ સુપ્રિયને પોતાનું પાશુપતા શસ્ત્ર આપ્યુ અને સુપ્રિયએ તેનાથી દારુકનો વધ કર્યો. કહે છે કે દારુકના વધ બાદ દારુકાએ દેવી પાર્વતીની ક્ષમા માંગી રાક્ષસ પુત્રો માટે જીવનદાન માંગ્યું. શિવ-પાર્વતીએ તેને અભયદાન આપ્યું. પણ, તે સાથે જ તેમના ભક્તોની રક્ષાર્થે જ્યોતિર્લિંગ સ્વરૂપે તે સદૈવને માટે આ ધરા પર જ સ્થિર થઈ ગયા.

ઉલ્લેખનીય છે કે આ જાણકારીને માન્યતાઓને આધારે તૈયાર કરવામાં આવી છે અને તેની કોઈ પૃષ્ટિ કરવામાં આવી નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code