
પાટણમાં ભારે વરસાદને લીધે કેનાલમાં ગાબડું પડતાં શહેરની 15 સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા
પાટણઃ શહેર અને જિલ્લામાં સોમવાર અને મંગળવાર એમ બે દિવસ સારોએવો વરસાદ પડ્યો હતો. જેમાં પાટણ શહેરમાં 5 ઈંચથી વધુ વરસાદ પડતા શહેરના રોડ-રસ્તાઓ પર પાણી ભરાયા હતા. શહેરના પદ્મનાભ ચાર રસ્તા નજીકની કેનાલમાં ગાબડું પડતાં આ વિસ્તારની 15થી વધુ સોસાયટીમાં પાણી ફરી વળતાં લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
પાટણ શહેર સહિત જિલ્લામાં મંગળવારે મેઘરાજાએ મહેરબાની કરી હોય તેમ વહેલી સવારથી જ વરસાદે વરસવાનું શરુ કરતાં શહેરના નીચાણવાળા વિસ્તાર જળબંબાકાર બન્યા હતા. બે દિવસથી મેઘમહેર થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવાની સાથે વાવેતર કરાયેલા પાકને જીવતદાન મળ્યું હોઈ ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી હતી. પાટણ શહેરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદે ધડબડાટી બોલાવતાં માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બનતા લોકોને હાલાકી ભોગવવી પડી હતી. શહેરના પદ્મનાભ ચાર રસ્તા નજીકની કેનાલમાં ગાબડું પડતાં આ વિસ્તારની 15થી વધુ સોસાયટીમાં પાણી ફરી વળતાં લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
પાટણ નગરપાલિકા દ્વારા જેસીબી મશીનની મદદથી પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરના મહાદેવનગર વિસ્તારમાં ભરાયેલા પાણીના નિકાલ માટે નગરપાલિકા તંત્ર દ્વારા ફાઈટર મશીનની મદદથી પાઇપ મારફતે ગુરુનગરમાંથી કર્મભૂમિ માર્ગ પરની ચેમ્બર દ્વારા વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. શહેરને પીવાનું પાણી પૂરું પાડતી તેમજ તાલુકાના ગામોમાં સિંચાઈ અને પીવાનું પૂરું પાડતી પદ્મનાથથી વત્રાસર તળાવ સુધીની કેનાલ જર્જરિત હોવાના કારણે વરસાદના કારણે કેનાલ બે બાજુથી તૂટી ગઈ હતી. જેના કારણે કેનાલના પાણી આજુબાજુના ખેતરો અને સોસાયટી વિસ્તારમાં ફેલાયા હતા. આ કેનાલ સિંચાઈ વિભાગની માલિકીની કેનાલ છે. પરંતુ કેનાલ તૂટી જવાથી જવાબદાર અધિકારીઓ તરફથી સિંચાઈ વિભાગના અધિકારીઓને ટેલિફોનિક જાણ કરવા છતાં પણ સિંચાઈ વિભાગના એક પણ અધિકારીઓ સ્થળ ઉપર આવ્યા ન હતા. પાટણ નગરપાલિકાના કામદારો મારફત તૂટેલી કેનાલનું પુરાણ કરવામાં આવ્યું હતું.