1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સાબરકાંઠામાં ભારે વરસાદને લીધે ખેતરોમાં પાણી ભરાઈ જતાં વાવેતર નિષ્ફળ જવાની દહેશત

સાબરકાંઠામાં ભારે વરસાદને લીધે ખેતરોમાં પાણી ભરાઈ જતાં વાવેતર નિષ્ફળ જવાની દહેશત

0
Social Share

હિંમતનગરઃ  સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા એક મહિનાથી સમયાંતરે વરસાદના ભારે ઝાંપટા પડી રહ્યા છે. જેમાં પ્રાંતિજ સહિત ત્રણ તાલુકામાં તો ભારે વરસાદને કારણે વાડી ખેતરોમાં પાણી ભરાઈ જતાં વાવેતર વળી જવાની દહેશત ઊભી થઈ છે, તેથી ખેડુતો ચિંતિત બન્યા છે.

સાબરકાંઠામાં ભારે વરસાદ વરસાદ વરસ્યો છે. જુલાઈ માસની શરુઆતથી જ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. આ દરમિયાન છેલ્લા એક સપ્તાહ દરમિયાન જિલ્લાના અનેક વિસ્તારોમાં હળવા અને ભારે વરસાદ વરસ્યો હતો. કેટલાક વિસ્તારમાં બે થી છ ઈંચ વરસાદ નોંધાયો છે. જેને લઈ શરુઆતમાં ખેડૂતોના ચહેરાઓ પર વર્તાઈ રહેલી ખુશીઓ એકાએક જ હવે ચિંતામાં બદલાઈ ગઈ છે. પ્રાંતિજ, તલોદ, હિંમતનગરના અનેક વિસ્તારોમાં વરસાદના વિરામના બે દિવસ બાદ પણ ખેતરોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. પાણી ભરાઈ રહેવાને લઈ ખેડૂતોને વાવણી નિષ્ફળ જવાની ચિંતા ખેડૂતોને સતાવા લાગી છે.

સાબરકાંઠા જિલ્લામાં સરેરાશ 51 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે ચોમાસાનો 60 થી 65 ટકા વરસાદ પ્રાંતિજ, તલોદ અને પોશીના તાલુકામાં નોંધાઈ ચુક્યો છે. જિલ્લામાં અનેક વિસ્તારમાં ભારે વરસાદ વરસવાને લઈ ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. વિસ્તારમાં અનેક સ્થળો પર ખેડૂતોની વાવણી ખેતરમાં પાણી ભરાઈ જવાને લઈ નિષ્ફળ થવાની ચિંતા સતાવવા લાગી છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં રસ્તાઓ નજીકના ખેતરોમાં પાણીનો નિકાલ નહીં થવાને લઈને પણ ખેતરોમાંથી પાણીનો નિકાલ થઈ શકતો નથી. ખેતરોમાં પાણી ભરાઈ રહેવાને લઈ મગફળી અને કપાસ જેવા પાકનુ વાવેકતર નિષ્ફળ જવાનો ખતરો તોળાઈ રહ્યો છે. પ્રાંતિજ વિસ્તારના પોગલુ, સોનાસણ, સલાલ સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાઈ રહેવાની સમસ્યા સર્જાઈ છે. વરસાદને પગલે અનેક સીમ-ખેતરોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. આવી જ રીતે હિંમતનગરના હડીયોલ, ગઢોડા, આકોદરા સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા છે. આ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસવાની સ્થિતિમાં વરસાદી પાણી નિકાલ થવાની સમસ્યા વર્ષોથી સતાવી રહી છે. હાલમાં વરસાદને લઈ કેટલાક ખેતરો બેટની જેમ જોવા મળવા લાગ્યા હતા.

સાબરકાંઠામાં સૌથી વધુ વાવેતર મગફળીનુ થયુ છે. અત્યાર સુધીમાં 65 હજારથી વધુ હેક્ટર વિસ્તારમાં મગફળીના પાકનુ વાવેતર થયુ છે. જેમાં સૌથી વધારે વાવેતર હિંમતનગર તાલુકામાં 23 હજાર હેક્ટર વિસ્તારમાં થયુ છે. જ્યારે કપાસનુ વાવેતર જિલ્લામાં 57 હજાર કરતા વધુ હેક્ટર વિસ્તારમાં થયુ છે. કપાસનુ સૌથી વધારે વાવેતર ઈડરમાં 16 હજાર હેક્ટર વિસ્તારમાં થયુ છે. જ્યારે હિંમતનગરમાં 13 હજાર 400 હેક્ટર વિસ્તારમાં થયુ છે. જિલ્લામાં સરેરાશ વાવેતર સામે 70 ટકા જેટલી વાવણી થઈ ચુકી છે. જ્યાં હવે વરસાદને લઈ રાહત સર્જાઈ છે, તો ક્યાંક મુશ્કેલી સર્જાઈ છે.

સાબરકાંઠા જિલ્લામાં સિઝનનો સરેરાશ 50.94 ટકા વરસાદ નોંધાયો છે. સિઝન સૌથી વધુ વરસાદ પોશીના વિસ્તારમાં નોંધાયો છે. જ્યાં 65.84 ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે તલોદમાં 65.36 ટકા વરસાદ વરસ્યો છે. પ્રાંતિજ તાલુકામાં 62.64 ટકા વરસાદ નોંધાયો છે. હિંમતનગરમાં 40.35 ટકા વરસાદ વરસ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code