
અંકલેશ્વર જીઆઈડીસીમાં ફાર્મા કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ, 2ના મોત
- આ દૂર્ઘટનામાં 3 શ્રમજીવીઓની હાલત ગંભીર
- રિએક્ટરમાં આઇસો પ્રોપાઇલ આલ્કોહોલ નાખી શ્રમજીવીઓ કામ કરી રહ્યાં હતા
- રિએક્ટર ખોલતાની સાથે જ બ્લાસ્ટ થયો
અમદાવાદઃ દક્ષિણ ગુજરાતની વધુ એક કંપનીમાં આગની ઘટના બની હતી. આ ઘટનામાં પાંચ કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. જે પૈકી બે શ્રમજીવીઓના સારવાર દરમિયાન મોત થયા હોવાનું જાણવા મળે છે. ભરૂચના અંકલેશ્વર જીઆઈસીડીમાં આવેલી ફાર્મા કંપનીમાં આ દૂર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર GIDCની ફાર્મા કંપનીમાં મધરાતે ગોપાલ સુદામ, સુંદરસિંહ ઇન્દ્રવન સિંગ, રઘુનાથ બુધી સંકેત, હરિઓમ ઉપાધ્યાય, રામદિન મંડલ નામના કર્મચારીઓ રિએક્ટરમાં આઇસો પ્રોપાઇલ આલ્કોહોલ નાખી નજીકમાં કામ કરી રહ્યા હતા. દરમિયાન રીએક્ટરનું ઢાંકણ ખોલતા દૂર્ઘટના સર્જાઈ હતી. કામદારોએ ઢાકણ ખોલતા રિએક્ટરમાં સ્પાર્ક થતાં બ્લાસ્ટ થયો હતો. જેને પગલે નજીકમાં કામ કરી રહેલા 5 કામદારો દાઝી જતાં દોડધામ મચી જવા પામી હતી. તેમજ દાઝી ગયેલા તમામ કામદારોને તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા. સારવાર બાદ મૂળ મધ્ય પ્રદેશનો અને હાલ અંકલેશ્વર GIDCમાં આવેલી મોઘમણી ચોકડી સ્થિત યોગી એંજિનિયરિંગ પાસેના ભાડાના રૂમમાં રહેતો 22 વર્ષીય સુંદરસિંગ ઇન્દ્રસિંગ અને હરિઓમ ઉપાધ્યાયનું કરૂણ મોત નીપજયું હતું. જ્યારે અન્ય ત્રણ કામદારો હાલ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે GIDC પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે. પોલીસે દૂર્ઘટનાનું ચોક્કસ કારણ જાણવા તપાસ આરંભી છે.