
ગુજરાતમાં એસટીની બસો પણ હવે કેસરી, સૌરાષ્ટ્રમાં નવી 63 બસનો કલર બદલાયો
રાજકોટઃ ગુજરાતની ભાજપ સરકાર દ્વારા હવે એસટી બસોને પણ કેસરિયો કલર લગાવવામાં આવી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં એસટી નિગમ દ્વારા જુદા જુદા ડિવિઝનોને નવી 63 બસો તાજેતરમાં ફાળવવામાં આવી છે. અમરેલીને 14, જૂનાગઢને 13, ભાવનગરને 12 અને જામનગરને 6 બસોની ફાળવણી કરવામાં આવી છે. આ તમામ બસોનો રંગ કેસરી રાખવામાં આવ્યો છે.
ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમની બસનો કલર બદલીને હવે કેસરી કરવામાં આવ્યો છે, લાંબા સમય બાદ નવી બસોનું આગમન થયું છે અને ફાળવણી શરૂ કરાઇ છે જેમાં રાજકોટ એસટી ડિવિઝનને 18 સહિત સૌરાષ્ટ્ર્રના વિવિધ ડિવિઝનને 63 બસની ફાળવણી કરાઇ છે, ટૂંક સમયમાં વધુ 750 નવી બસ આવશે જેની તબક્કાવાર ફાળવણી કરાશે. તમામ બસનો કલર કેસરી નક્કી કરાયો છે.
સુત્રોના જણાવ્યા મુજબ નવી 251 કેસરી કલરની સુપર એકસપ્રેસ બસમાંથી રાજકોટ વિભાગને 18, પાલનપુરને 26, સુરતને 16, અમદાવાદને 15, અમરેલીને 14,, ભુજને 9, વલસાડને 11, ભચને 16, વડોદરાને 13, ભાવનગરને 12, ગોધરાને 26, હિંમતનગરને 18, જામનગરને 6 અને જૂનાગઢ ડિવીઝનને 13 બસની ફાળવણી કરાઇ છે. આ તમામ એસટી બસનો રંગ કેસરી છે.
સૂત્રોએ ઉમેયુ હતું કે, છેલ્લા કેટલાક મહિનાઓથી એસટી નિગમના નરોડા સ્થિત વર્કશોપ ખાતે એસટી તત્રં દ્વારા કેસરી કલરની નવી સુપર એકસપ્રેસ બસોનું નિર્માણ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. આ પ્રકારની નવી 1000 બસ એસટી તત્રં દ્વારા વર્ષ દરમિયાન દોડતી કરાશે. છેલ્લા ત્રણ માસમાં એસટી નિગમએ 251 બસ સંપૂર્ણ તૈયાર કરી હતી. ગાંધીનગર ડેપો ખાતેથી બપોરે ત્રણ કલાકે આ 251 બસનું વિવિધ ડિવિઝનને લોકાર્પણ કરવામાં આવશે.