પરીક્ષા પે ચર્ચા: નરેન્દ્ર મોદીએ કોઈમ્બતુરના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો
નવી દિલ્હી, 9 ફેબ્રુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘પરીક્ષા પે ચર્ચા’ની 9મી આવૃત્તિના બીજા એપિસોડમાં કોઈમ્બતુરના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે તમિલનાડુના વિદ્યાર્થીઓની ઉર્જા અને જિજ્ઞાસાએ તેમને ખૂબ પ્રભાવિત કર્યા છે. ‘પરીક્ષા પે ચર્ચા’ના બીજા એપિસોડની શરૂઆતમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આ વખતે કાર્યક્રમ કંઈક અલગ અને ખાસ છે. ઘણા વિદ્યાર્થીઓએ મને એવો સુઝાવ મોકલ્યો હતો કે દેશના અલગ-અલગ ભાગોમાં પણ પરીક્ષા પે ચર્ચા થવી જોઈએ. તેથી આ વખતે મેં દેશના અલગ-અલગ ભાગોમાં પણ વિદ્યાર્થીઓ સાથે બેસીને ‘પરીક્ષા પે ચર્ચા’ કરી. આ ક્રમમાં પીએમ મોદીએ સૌથી પહેલા તમિલનાડુના કોઈમ્બતુરના વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી.
સૌ પ્રથમ કોઈમ્બતુરના વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરતા પીએમ મોદીએ કહ્યું, “હું ઘણા વર્ષોથી ‘પરીક્ષા પે ચર્ચા’ દ્વારા ધોરણ 10 થી 12 ના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી રહ્યો છું. હું તેમની પાસેથી શીખવા માટે વાત કરું છું. જ્યારે પણ હું લોકોને મળું છું, ત્યારે તેઓ સ્ટાર્ટઅપ્સ વિશે વાત કરે છે.” તેમણે કહ્યું કે સૌથી પહેલા તમને (વિદ્યાર્થીઓને) ખબર હોવી જોઈએ કે તમે શું કરવા માંગો છો. ઉદાહરણ તરીકે કેટલાક સ્ટાર્ટઅપ ટેકનોલોજી પર ફોકસ કરે છે. જો તમારા મિત્રો અલગ-અલગ ક્ષેત્રોમાં નિષ્ણાત હોય, તો તમે તેમની સાથે નાનું સ્ટાર્ટઅપ શરૂ કરી શકો છો.
પીએમ મોદીએ વિદ્યાર્થીઓને ટિપ્સ આપતા કહ્યું, “શિસ્ત અને મોટિવેશન આ બંને જીવનમાં મહત્વપૂર્ણ છે. જો શિસ્ત જ નહીં હોય, તો ગમે તેટલી પ્રેરણા (ઇન્સ્પિરેશન) હોય, તે કોઈ કામમાં નહીં આવે. જીવનમાં શિસ્ત ખૂબ અનિવાર્ય છે. તે પ્રેરણામાં ‘સોનામાં સુગંધ ભળે’ તેવું કામ કરે છે. જો શિસ્ત જ નહીં હોય, તો ગમે તેટલી પ્રેરણા હોય, તે બોજ બની જાય છે અને નિરાશા પેદા કરે છે.”
અભ્યાસ અને પોતાના પેશન સાથે જોડાયેલા એક વિદ્યાર્થીનીના સવાલનો જવાબ આપતા પીએમ મોદીએ કહ્યું, “અભ્યાસ અને તમારા પેશનને અલગ-અલગ ન સમજો. ઉદાહરણ તરીકે જો તમને આર્ટમાં રસ હોય અને તમે સાયન્સનો કોઈ ટોપિક ભણી રહ્યા હોવ, તો તમે તેને લગતું કોઈ ચિત્ર બનાવવાનું શરૂ કરી શકો છો. આ રીતે, તમે બંનેની પ્રેક્ટિસ કરી શકશો.”
યુવા વિદ્યાર્થીઓ ‘વિકસિત ભારત’માં કેવી રીતે યોગદાન આપી શકે? અન્ય એક વિદ્યાર્થીનીના આ પ્રશ્નની પીએમ મોદીએ પ્રશંસા કરી. તેમણે કહ્યું, “મને આનંદ છે કે શાળાના વિદ્યાર્થીઓ વિકસિત ભારત વિશે વિચારી રહ્યા છે. 2047 સુધીમાં ‘વિકસિત ભારત’ બનાવવા માટે જો આપણે વિકસિત દેશ બનવા માંગતા હોઈએ, તો આપણે માત્ર વાતો નથી કરવાની, પણ વિકસિત દેશોની આદતો પણ અપનાવવી પડશે.” પ્રધાનમંત્રી મોદીએ ઉદાહરણ આપતા કહ્યું કે સફાઈ જાળવવી અને નિયમોનું પાલન કરવું. જો હું આવું કરું છું, તો તેનો અર્થ એ છે કે હું યોગદાન આપી રહ્યો છું.


