1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગોહિલવાડ પંથકમાં ખાતરના ભાવ વધારાનો ખેડુતો દ્વારા કરાયો વિરોધ
ગોહિલવાડ પંથકમાં ખાતરના ભાવ વધારાનો ખેડુતો દ્વારા કરાયો વિરોધ

ગોહિલવાડ પંથકમાં ખાતરના ભાવ વધારાનો ખેડુતો દ્વારા કરાયો વિરોધ

0
Social Share

ભાવનગર: ગોહિલવાડ પંથકમાં રવિ સીઝનમાં સારૂંએવું વાવેતર કરાયુ છે. ચોમાસામાં સારા વરસાદને લીધે હાલ સિંચાઈ માટે પુરતુ પાણી મળી રહેતું હોવાથી ખેડુતોને પણ સારાએવા ઉત્પાદનની આશા છે. હાલ રવિ સીઝનમાં ખાતરની ખાસ માગ ઊભી થઈ છે. ત્યારે જિલ્લામાં ખાતરની તંગી ઊભી થઈ છે. બીજીબાજુ ખાતરના ભાવોમાં પણ છેલ્લા 3 માસમાં 40% થી લઇ 100% સુધીનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે, એક તરફ વધતી જતી મોંઘવારી વચ્ચે ખાતરના ભાવો વધતા ખેડૂતોને સરવાળે ઉત્પાદન મોંઘુ પડી રહ્યું છે, જયારે જણસોમાં ક્યારેક પૂરતા તો ક્યારેક અપૂરતા ભાવો મળતા ખેડૂતોને નફો અને નુકશાન બંને વેઠવું પડે છે, જેથી ખેડૂતો ખાતરના ભાવો કાબૂમાં લેવા સરકાર પાસે માંગ કરી રહ્યા છે

ભાવનગર જિલ્લામાં ગ્લોબલ વોર્મિંગ અને હવામાનમાં થઈ રહેલા ફેરફાર ના કારણે આ વર્ષે ચોમાસા બાદ પણ સતત પડી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોના પાકમાં વ્યાપક નુકશાન પહોંચાડ્યું છે, ચોમાસા દરમિયાન પડેલા ભારે વરસાદના કારણે ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો, પરંતુ ચોમાસુ ગયા બાદ પણ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં કમોસમી વરસાદે ખેડૂતોની સ્થિતિ કફોડી બનાવી દીધી છે. ચોમાસામાં સારો વરસાદ હતો, જેથી પાકમાં ગયેલા નુકશાનનું વળતર મેળવી લેવા ખેડૂતોએ શિયાળુ પાકનું પુષ્કળ વાવેતર કર્યું છે. પરંતુ ખાતરોના વધી રહેલા ભાવ ખેડૂતો માટે મુશ્કેલી ઊભી કરી રહ્યા છે.

રાજ્યમાં છેલ્લા ત્રણ માસમાં ખાતરોના ભાવ આસમાને આંબી ગયા છે, જેમાં છેલ્લા 2 માસ કરતા વધુ સમયથી DAP ની આવક સાવ બંધ થઈ ગઈ છે, જેના કારણે ખેડૂતો ને પૂરતું ખાતર મળતું નથી, જ્યારે અન્ય ખાતરો જેમાં NPK ખાતર 12-32-16 જૂનો ભાવ 1185 હતો, જ્યારે નવો ભાવ 1450 થઈ ગયો છે, NARMADA FORS 20-20 જૂનો ભાવ 950 હતો, જ્યારે નવો ભાવ 1150 થયો છે, એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ જેનો જૂનો ભાવ 975 હતો, જ્યારે નવો ભાવ 1225 થયો છે. નાઇટ્રોજન બેજ ખાતરોના ભાવમાં પણ ધરખમ વધારો થયો છે, જેમાં એમોનિયમ સલ્ફેટ જૂનો ભાવ 656 હતો, જ્યારે નવો ભાવ 1000 ને પાર પહોંચી ગયો છે, જ્યારે અન્ય ખાતરો અને જંતુનાશક દવાઓના ભાવમાં પણ ધરખમ વધારો થતાં ખેડૂતોની પાક ઉત્પાદનની કમાણી ખાતરો પાછળ વેડફાઈ રહી છે, ત્યારે સરકાર ખાતરના ભાવ કાબુમાં લે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

ખેડૂતોને વાવણીથી લઈને લણવા સુધીના સમય દરમિયાન અનેક પ્રકારના રાસાયણિક ખાતરોનો વપરાશ કરવો પડતો હોય છે, એક બાજુ હવામાનમાં થઈ રહેલા સતત ફેરફારના કારણે ખેડૂતોને પાકમાં પૂરતું ઉત્પાદન મળતું નથી. એવામાં રાસાયણિક ખાતરોના ભાવ વધારાએ ખેડૂતોની કમર તોડી નાખી છે, ત્યારે વધતા જતા વિવિધ રસાયણિક ખાતરના ભાવો સામે હવે ખેડૂતોએ હકીકતમાં જૈવિક ખેતી તરફ વળવાનો સમય પાકી ગયો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code