પ્રખ્યાત બોલિવુડ ફિલ્મમેકર રાહુલ રવૈલે પોતાની ફેસબુક પોસ્ટમાં ઋષિ કપૂરના સ્વાસ્થ્ય અંગે નવી અપડેટ સાથેની પોસ્ટ શેર કરી છે. તેમણે ઋષિ કપૂર સાથે પોતાનો એક જૂનો ફોટો શેર કરીને લખ્યું, “ઋષિ કપૂર (ચિંટુ) કેન્સર ફ્રી છે.” આ એવી પહેલી પોસ્ટ છે કે નિવેદન છે જેમાં ઋષિ કપૂરની બીમારીને લઈને જાણકારી આપવામાં આવી છે. જોકે, હજુ સુધી ઋષિ કપૂરના પરિવારે એક્ટરની બીમારીને લઈને જાણકારી નથી આપી. આ પહેલા રણધીર કપૂરે તે તમામ રિપોર્ટ્સનું ખંડન કર્યુ હતું જેમાં ઋષિ કપૂરને કેન્સલ હોવાની વાત કહેવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ઋષિ કપૂરે ગયા વર્ષે 29 સપ્ટેમ્બરના રોજ ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે તેઓ અમેરિકા મેડિકલ ટ્રીટમેન્ટ માટે જઈ રહ્યા છે. પરંતુ, તેમને કઈ બીમારી થઈ છે તેની કોઈ જાણકારી ન તો એક્ટર અને ન તો તેમના પરિવારે આપી. જ્યારથી ઋષિ ન્યુયોર્ક ગયા છે, તેમની પત્ની નીતુ કપૂર તેમની સાથે છે. રણબીર કપૂર પણ પિતાની તબિયતની ખરખબર લેવા માટે ન્યુયોર્ક જાય છે.
ઋષિ કપૂરની બીમારીની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેઓ ગયા વર્ષે પોતાની માતા કૃષ્ણા રાજ કપૂરનું અવસાન થવા છતાંપણ ભારત પાછા નહોતા ફર્યા. ન્યુયોર્કમાં ઋષિ કપૂરના હાલચાલ જાણવા માટે બોલિવુડ સ્ટાર્સ ઘણીવાર તેમની મુલાકાત લેતા હોય છે.
બીમારીના કારણે ઋષિ કપૂરનું સ્વાસ્થ્ય પણ કથળ્યું છે. તેઓ પહેલા કરતા કમજોર થઈ ગયા છે. પરંતુ, હવે રાહુલ રવૈલની પોસ્ટે ઋષિ કપૂરના ફેન્સને રાહત આપી છે. ગત દિવસોમાં રિપોર્ટ આવ્યો હતો કે ઋષિ કપૂર ટુંક સમયમાં ભારત પાછા ફરવાના છે. દેશ પાછા આવીને સૌથી પહેલી પ્રાયોરિટી દીકરા રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન કરવાની રહેશે. હવે જ્યારે એ અનાઉન્સ થઈ ગયું છે કે ઋષિ કપૂર કેન્સર ફ્રી છે તો આશા છે કે ટુંક સમયમાં તેમના દેશ પાછા ફર્યા પછી કપૂર પરિવારમાં શરણાઈઓ વાગે.