નવા શૈક્ષણિક સત્રથી ધો. 6થી 8ના વિદ્યાર્થીઓને વર્ષમાં 10 દિવસ ઈતર ઈતર પ્રવૃતિ કરાવાશે
અમદાવાદઃ રાજ્યની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ ભણતરના ભાર વચ્ચે પીસાય ગયા છે. ત્યારે ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓને શિક્ષણ ઉપરાંત ઈતર પ્રવૃતિમાં રસ લેતા કરવા માટે શિક્ષણ વિભાગ નવા શૈક્ષણિક વર્ષથી એક નવો જ પ્રયોગ હાથ ધરશે. જેમાં વર્ષમાં 10 દિવસ વિદ્યાર્થીઓએ દફતર વિના જ શાળામાં આવવું પડશે. વિદ્યાર્થીઓને ગાર્ડનીંગ, મેટલ ફેબ્રીકેશન જેવી પ્રવૃતિઓ કરાવાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ભણતરનો અસામાન્ય ભાર ધરાવતા વિદ્યાર્થીઓને આવતા શૈક્ષણિક સત્રથી આંશિક રાહત મળવાના સંકેત છે. કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિમાં ધો. 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે વર્ષમાં 10 દિવસ દફતર વિનાના શિક્ષણનું સૂચન કરવામાં આવ્યું છે અને ગુજરાત સરકાર નવા શૈક્ષણિક સત્રથી તેનો અમલ શરુ કરવાની તૈયારી કરી રહી છે.
કેન્દ્રની નવી શિક્ષણ નીતિમાં 10 દિવસ અથવા 60 કલાક દફતર વિનાના શિક્ષણની ભલામણ કરવામાં આવી છે અને આ દિવસોમાં શિક્ષણ સિવાયની પ્રવૃતિઓમાં વિદ્યાર્થીઓને સામેલ કરવાનું સૂચન કરાયું છે. ગાર્ડનીંગ, મેટલ ફેબ્રીકેશન જેવી પ્રવૃતિઓ કરાવવાનું સૂચન છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને મ્યુઝિયમ, હેરીટેજ સાઈટ જેવા સ્થળોના પ્રવાસ કરાવવાની પણ ભલામણ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને 1000 કલાક સ્કૂલમાં ગાળવાના અને 10 દિવસ આ પ્રકારની જુદી જુદી પ્રવૃતિ કરાવવાનું આયોજન ગોઠવવામાં આવી રહ્યું છે. નવા શૈક્ષણિક સત્રથી ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આ નીતિ લાગુ પાડવામાં આવશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં સરકારી પ્રાથમિક શાળાઓને અર્ધવાર્ષિક ટર્મમાં પાંચ-પાંચ દિવસ દફતર વિનાના દિવસ રાખવા સૂચના આપવામાં આવશે. પ્રવાસ, સ્થાનિક કલાકારો-લોક કલાકારો સાથે મીટીંગ જેવા કાર્યક્રમો પણ ગોઠવવા કહેવામાં આવશે. રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી તથા રમતગમત સ્પર્ધાઓને પણ આ દિવસોમાં આવરી લેવામાં આવશે.