
અમદાવાદઃ રાજ્યમાં મંગળવાર રાતથી ફરી વરસાદી માહોલ જામ્યો છે. આકાશમાં ઘટાટોપ વાદળો ગોરંભાયા છે. દરમિયાન આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્ર કચ્છ, ઉત્તર ગુજરાતમાં વરસાદના છૂટા-છવાયા ઝાપટાં પડવાની શક્યતા છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રાહત કમિશનર અને અધિક સચિવના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આજે યોજવામાં આવી હતી. IMDના અઘિકારીએ જણાવ્યું છે કે, પાંચ દિવસની હવામાનની આગાહી જોતાં ગુજરાત રાજયમાં હાલ ઓછા વરસાદની સંભાવના છે. જો કે આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. રાજ્યમાં મોસમનો અત્યાર સુધીમાં 311.82 મી.મી. વરસાદ નોંધાયો છે.
રાહત કમિશનરે જણાવ્યુ કે, આજે સવારે 6થી બપોરના 2 સુધી રાજ્યમાં 4 જિલ્લાના 8 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે ડાંગ જિલ્લાના વધઈ તાલુકામાં 21 મી.મી. વરસાદ પડ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 17 ઓગસ્ટ સુધી અંતિત 311.82 મીમી વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજ્યની એવરેજ 840 મી.મીની સરખામણીએ 37.12 ટકા છે. દરમિયાન કૃષિ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ચાલુ વર્ષે તા. 17 ઓગસ્ટ સુધીમાં અંદાજીત 78.83 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન 78.02 લાખ હેક્ટર વાવેતર થયેલ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 92.15 ટકા વાવેતર થયેલ છે.
સિંચાઇ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, સરદાર સરોવર જળાશયમાં 1,51,939 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના 45.48 ટકા છે. રાજ્યના 206 જળાશયોમાં 2,65,477 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના 47.63 ટકા છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ- 8 જળાશય, એલર્ટ ૫ર કુલ 7 જળાશય તેમજ વોર્નિંગ ઉ૫ર 10 જળાશય છે.
એન.ડી.આર.એફ.ની કુલ 15 ટીમમાંથી 8 ટીમો ડિપ્લોય કરવામાં આવેલ છે. જે પૈકી વલસાડ, સુરત, નવસારી, રાજકોટ, ગીરસોમનાથ, જૂનાગઢ, કચ્છ અને મોરબી ખાતે 1-1 ટીમ ડિપ્લોય કરવામાં આવી છે. અને 6 ટીમ વડોદરા અને 1 ટીમ ગાંધીનગર ખાતે રિઝર્વ રાખવામાં આવી છે. એસ.ડી.આર.એફ.ની કુલ 11 ટીમ હવામાન વિભાગની આગાહી ધ્યાને લઇ એલર્ટ રાખવામાં આવેલ છે.