ગ્લોબલ એર ક્વોલિટી રેન્કિંગ કોઈ સત્તાવાર સંસ્થા દ્વારા તૈયાર થતું નથી: કેન્દ્ર સરકાર
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હી સહિત અનેક રાજ્યો પ્રદૂષણની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે, ત્યારે કેન્દ્ર સરકારે આજે ગુરુવારે સંસદમાં સ્પષ્ટતા કરી હતી કે, અલગ-અલગ સંગઠનો દ્વારા જાહેર કરવામાં આવતી ગ્લોબલ એર ક્વોલિટી રેન્કિંગ કોઈ પણ સત્તાવાર સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવતી નથી. આ ઉપરાંત, વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ની હવા ગુણવત્તા સંબંધિત ગાઇડલાઇન્સ માત્ર સલાહ તરીકે કામ કરે છે અને તે બંધનકર્તા ધોરણો નથી.
રાયસભામાં IQAir ની વર્લ્ડ એર ક્વોલિટી રેન્કિંગ, WHOના ગ્લોબલ એર ક્વોલિટી ડેટાબેઝ અને એનવાયર્નમેન્ટ પરફોર્મન્સ ઇન્ડેક્સ (EPI) જેવા વિશ્વ સ્તરીય AQI સૂચકાંકોમાં ભારતની સ્થિતિ પર એક સવાલનો જવાબ આપતા પર્યાવરણ મંત્રાલયે કહ્યું કે, વિશ્વ સ્તરે સત્તાવાર રીતે કોઈ પણ પ્રદૂષણ રેન્કિંગ તૈયાર કરવામાં આવતી નથી. કેન્દ્રીય પર્યાવરણ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે જણાવ્યું હતું કે, WHO ની દિશા-નિર્દેશો દેશોને ભૂગોળ, પર્યાવરણીય પરિસ્થિતિઓ, પૃષ્ઠભૂમિ સ્તર અને રાષ્ટ્રીય પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને તેમના પોતાના ધોરણો નક્કી કરવામાં મદદ કરવા માટે છે.
તેમણે ઉમેર્યું કે, ભારતે જાહેર આરોગ્ય અને પર્યાવરણીય ગુણવત્તાની સુરક્ષા માટે 12 પ્રદૂષકો માટે તેના નેશનલ એમ્બિઅન્ટ એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ (NAAQS) ને પહેલેથી જ અધિસૂચિત કરી દીધા છે. કેન્દ્રીય મંત્રી કીર્તિ વર્ધન સિંહે એ પણ સ્પષ્ટ કર્યું કે, વિશ્વમાં કોઈ પણ વૈશ્વિક પ્રાધિકરણ સત્તાવાર રીતે દેશોનું રેન્કિંગ બહાર પાડતું નથી. જો કે, ભારતમાં હવા ગુણવત્તા સુધારણાના પગલાંના આધારે નેશનલ ક્લીન એર પ્રોગ્રામ (NCAP) હેઠળ સામેલ 130 શહેરોનું આકલન અને રેન્કિંગ કરવા માટે દર વર્ષે ‘સ્વચ્છ વાયુ સર્વેક્ષણ’નું આયોજન કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર તરફથી જણાવવામાં આવ્યું કે, સારું પ્રદર્શન કરનારા શહેરોને દર વર્ષે 7 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય સ્વચ્છ વાયુ દિવસ પર સન્માનિત પણ કરવામાં આવે છે.


