
સ્માર્ટફોન વપરાશકારોને સાયબર ક્રાઈમથી બચવા માટે કેટલીક એપ્સ દૂર કરવા સરકારે કરી અપીલ
ભારત સરકારે સ્માર્ટફોન યુઝર્સને સાયબર ક્રાઇમથી બચાવવા માટે એક મહત્વપૂર્ણ ચેતવણી જારી કરી છે. ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) એ લોકોને વિનંતી કરી છે કે તેઓ તાત્કાલિક તેમના મોબાઇલ ફોનમાંથી કેટલીક ખતરનાક એપ્સ દૂર કરે અને તેને ફરીથી ઇન્સ્ટોલ ન કરે.
ખાસ કરીને સ્ક્રીન શેરિંગ એપ્સ ટાળોઃ સરકારે કહ્યું કે ઘણી સ્ક્રીન શેરિંગ એપ્સ, જેમ કે AnyDesk, TeamViewer, QuickSupport, વગેરેનો ઉપયોગ સાયબર ગુનેગારો દ્વારા છેતરપિંડી માટે કરવામાં આવી રહ્યો છે. આ એપ્સ તમારા ફોનમાં રીઅલ-ટાઇમ એક્સેસ બીજા કોઈને આપી શકે છે, જે તમારી બેંકિંગ પ્રવૃત્તિઓ, OTP અને વ્યક્તિગત માહિતી સરળતાથી જોઈ શકે છે.
• છેતરપિંડી કેવી રીતે થાય છે?
જ્યારે કોઈ યુઝર સ્ક્રીન શેરિંગ એપ ઇન્સ્ટોલ કરે છે, ત્યારે આ એપ્સ ઘણા પ્રકારની પરવાનગીઓ માંગે છે. મોટાભાગના યુઝર્સ તેમને વિચાર્યા વિના પરવાનગી આપે છે. આ પછી, ગુનેગારો યુઝરની સ્ક્રીન લાઈવ જોઈ શકે છે અને બેંકિંગ વ્યવહારો દરમિયાન OTP અને પાસવર્ડ જેવી સંવેદનશીલ માહિતી ચોરી શકે છે.
સરકારે સ્પષ્ટતા કરી છે કે જો આવી કોઈ એપ્સ તમારા ફોનમાં પહેલાથી જ ઇન્સ્ટોલ કરેલી હોય, તો તેને તાત્કાલિક ડિલીટ કરો. ઉપરાંત, આ એપ્સ ફરીથી ડાઉનલોડ કરશો નહીં, ખાસ કરીને જો તમે તમારા સ્માર્ટફોનમાંથી બેંકિંગ અથવા અન્ય સંવેદનશીલ સેવાઓનો ઉપયોગ કરો છો.
• આ સાવચેતીઓ રાખો:
કોઈપણ અજાણી લિંક કે કોલ દ્વારા એપ્સ ડાઉનલોડ કરશો નહીં.
જ્યાં સુધી કોઈ વિશ્વસનીય સંસ્થા દ્વારા જરૂરી ન હોય ત્યાં સુધી સ્ક્રીન શેરિંગ એપ્સ ઇન્સ્ટોલ કરશો નહીં.
સોશિયલ મીડિયા પર તમારી ગોપનીયતા સેટિંગ્સ મજબૂત બનાવો અને તમારી વ્યક્તિગત માહિતી મર્યાદિત રીતે શેર કરો.
બેંકિંગ સેવાઓનો ઉપયોગ કરતી વખતે કોઈને પણ સ્ક્રીન એક્સેસ ન આપો.
• સાયબર ક્રાઈમની જાણ કેવી રીતે કરવી?
જો તમે કોઈપણ સાયબર છેતરપિંડીનો ભોગ બનો છો, તો તાત્કાલિક www.cybercrime.gov.in પોર્ટલની મુલાકાત લઈને ફરિયાદ નોંધાવો અથવા 1930 હેલ્પલાઇન નંબર પર કૉલ કરો.
સરકારની આ ચેતવણી તમામ નાગરિકોની ઓનલાઈન સલામતી સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી જારી કરવામાં આવી છે. ટેકનોલોજીની સાથે, સાવધાની પણ મહત્વપૂર્ણ છે.