
શાળાઓએ શિક્ષકોની ખાલી જગ્યાની માહિતી શિક્ષણ વિભાગના પોર્ટલ પર એન્ટ્રી કરવી પડશે
અમદાવાદઃ રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં સમયાતંરે શિક્ષકો વય મર્યાદાને કારણે નિવૃત થતાં હોય છે. તેની સામે નવા શિક્ષકોની નિમણૂકો માટે સમય લાગતો હોય છે. સરકાર દ્વારા કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરતી હોય છે. અને જે શાળાઓમાં શિક્ષકોની જગ્યા ખાલી પડી હોય ત્યાં જ્ઞાન સહાયકોની નિમણૂકો કરવામાં આવતી હોય છે. પરંતુ શિક્ષણ વિભાગમાં સંકલનનો અભાવ હોવાને કારણે શાળાઓમાં શિક્ષકોની કેટલી જગ્યાઓ ખાલી છે. તેની પુરતી માહિતી હોતી નથી. આથી શિક્ષણ વિભાગે તમામ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને શિક્ષકોની ખાલી જગ્યાની માહિતી શિક્ષણ વિભાગના પોર્ટલ પર એન્ટ્રી કરવાની સુચના આપી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના શિક્ષણ વિભાગે સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં મંજુર મહેકમ મુજબ ખાલી પડેલી જગ્યાઓની એન્ટ્રી શિક્ષણ વિભાગના પોર્ટલ ઉપર કરવાનો આદેશ કર્યો છે. જોકે જ્ઞાન સહાયકની ભરતી બાદ પ્રવાસી શિક્ષકોને છૂટા કરવાનો પણ આદેશમાં ઉલ્લેખ છે. રાજ્યભરની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કાયમી શિક્ષકોની ભરતી કરવાની વાત શિક્ષણમંત્રીએ કરી છે. જ્યારે બીજી તરફ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યભરની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં મંજુર મહેકમ મુજબ શિક્ષકોની ખાલી જગ્યાઓની વિગતો મંગાવવાનો શાળાઓના કમિશનરે રાજ્યભરના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને આદેશ કર્યો છે. તેમાં સરકારી, આરએમએસએ, મોડેલ, મોડેલ ડે, બિનસરકારી અનુદાનિત, એમએસબી અને લોકલ બોડીની માધ્યમિક શાળાવાર એન્ટ્રી શિક્ષણ વિભાગના પોર્ટલમાં કરવાનો આદેશ કર્યો છે. તેમાં શાળામાં મંજૂર જગ્યાઓમાંથી ખાલી પડેલી જગ્યાઓની વિગતો લખવાની રહેશે. મંજુર મહેકમમાંથી ખાલી જગ્યાઓ તેમજ તેના વિષય અને કાર્યભારને ધ્યાનમાં લેવાના રહેશે. જ્ઞાન સહાયકની ભરતી કર્યા બાદ પ્રવાસી શિક્ષકોને છૂટા કરવાના રહેશે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, વર્ષ-2023-24માં મંજૂર થયેલા વર્ગ વધારાની જગ્યાઓ જ્ઞાન સહાયકની ખાલી જગ્યામાં દર્શાવવાની રહેશે. બદલી સમયે જે છૂટા થયા નથી તેમને જ્ઞાન સહાયકની ભરતી પછી છુટા કરવાના તેવો આદેશમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે શાળાઓમાં તારીખ 31મી, ઓક્ટોબર-2023ની સ્થિતિએ વય નિવૃત્ત કે સ્વૈચ્છિક નિવૃત્તિથી ખાલી પડનાર જગ્યાઓનો પણ તેમાં સમાવેશ કરવાનો રહેશે.