1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ઓમાન નજીક દરિયામાં ગુજરાતના કાર્ગો વહાણમાં આગ લાગી, 22 ખલાસીઓનો બચાવ
ઓમાન નજીક દરિયામાં ગુજરાતના કાર્ગો વહાણમાં આગ લાગી, 22 ખલાસીઓનો બચાવ

ઓમાન નજીક દરિયામાં ગુજરાતના કાર્ગો વહાણમાં આગ લાગી, 22 ખલાસીઓનો બચાવ

0
Social Share

જામનગરઃ સૌરાષ્ટ્રના બંદરો પરથી માલવાહક નાના વહાણોમાં આરબના દેશોમાં માલ-સામાન મોકલવામાં આવતો હોય છે. જેમાં જામસલાયાના બંદરેથી માલભરીને ઓમાન તરફ જઈ રહેલા કાર્ગો વહાણમાં મધદરિયે આગ લાગતા વહાણે જળસમાધી લીધી હતી. વહાણમાં 22 જેટલા ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ દેવભૂમિ દ્વારકાના જામ સલાયાના ‘અલ ખીજર’ નામના માલવાહક વહાણમાં ઓમાન દરિયામાં આગ લાગ્યા બાદ જળસમાધિ લીધી હતી. 1200 ટન કેપેસિટીનું ‘અલ ખીજર’ નામનું વહાણ ઓમાન જઈ રહ્યું હતું. ત્યારે મસ્કત નજીક દરિયામાં અચાનક વહાણમાં આગ લાગતા વહાણ પર સવાર 22 ખલાસીઓને અન્ય વહાણના ખલાસીઓ દ્વારા બચાવી લેવાયા હતા. જ્યારે વહાણ સંપૂર્ણ આગને હવાલે થઈ ગયા બાદ પાણીમાં ગરકાવ થયું હતું.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, સલાયામાં જળસમાધિ લેનાર વહાણનું નામ ‘અલ ખીજર’ હોવાનું સામે આવ્યું છે. તેનો રજિસ્ટ્રેશન નંબર BDI 1496 છે અને તેના માલિકનું નામ સલીમ ઈસ્માઈલ ભાયા છે. માલવાહક વહાણ પર સવાર તમામ ખલાસીઓનો બચાવ થતા સલાયામાં રહેતા તેમના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા જ જામ સલાયાથી પોરબંદર જઈ રહેલા એક માલવાહક વહાણે જળસમાધિ લીધી હતી. ઓમાન પાસે દરિયામાં જળસમાધિ લેનાર જામ સલાયાના ‘અલ ખજીર’ નામના વહાણની આ પ્રથમ જ સફર હોવાનું જાણવા મળ્યું છે. કમનસીબે વહાણની પ્રથમ સફર જ અંતિમ સફર બની રહી હતી. અન્ય વહાણમાં ખલાસીઓને નજીકના બંદર પર પહોંચાડી દેવામાં આવ્યા છે. હાલ વહાણના માલીક ખલાસીઓ સાથે સંપર્ક કરવાના પ્રયાસો કરી રહ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code