1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. 10 શહેરોમાં રેલવે ઓવરબ્રીજ માટે રૂપિયા 443.45 કરોડના કામોને ગુજરાત સરકારે આપી મંજુરી
10 શહેરોમાં રેલવે ઓવરબ્રીજ  માટે રૂપિયા 443.45 કરોડના કામોને ગુજરાત સરકારે આપી મંજુરી

10 શહેરોમાં રેલવે ઓવરબ્રીજ માટે રૂપિયા 443.45 કરોડના કામોને ગુજરાત સરકારે આપી મંજુરી

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં રેલવેના ફાટકમુક્તની ઝુંબેશને સફળ બનાવવા ગુજરાત સરકારે એક મ્યુનિ. કોર્પોરેશ અને નવ નગરપાલિકાઓમાં ફાટક પર રેલવે ઓવરબ્રીજ બનાવવા માટે રૂપિયા 443,45 કરોડના કામને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. જેમાં જૂનાગઢ શહેરમાં જોષીપુરા ખાતે એક રેલવે ઓવરબ્રીજ રૂ. 37.55 કરોડના ખર્ચે તેમજ બસ સ્ટેન્ડ પાસે એક રેલવે અંડરબ્રીજ રૂ. 18.85 કરોડના ખર્ચે બનાવવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. રાજ્યના શહેરી વિસ્તારો તથા નગરોમાં વાહનવ્યવહાર સરળ બનાવવા તેમજ ટ્રાફિક જામની સમસ્યા હલ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે રેલવે ઓવરબ્રીજ-રેલવે અંડરબ્રીજના નિર્માણનો વ્યાપ વધારવાનો અભિગમ અપનાવ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે નગરપાલિકાઓમાં રેલવે ઓવરબ્રીજ બનાવવાના કામોને સૈદ્ધાંતિક અનુમતિ આપી છે, તેમાં અંજાર રૂ. 55.56 કરોડ, વલ્લભવિદ્યાનગર રૂ. 42.41 કરોડ, હળવદ રૂ. 46.50 કરોડ, ખંભાળીયા રૂ. 37.03 કરોડ, સાવરકુંડલા રૂ. 66.57 કરોડ, ધ્રાંગધ્રા રૂ. 25 કરોડ, આંકલાવ રૂ. 33.27 કરોડ, મોરબી રૂ. 63.85 કરોડ અને ધોરાજીમાં રૂ. 35.69 કરોડના કામોની મંજૂરી આપી છે. આ ઉપરાંત સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારમાં ફોરલેન રેલવે ઓવરબ્રીજ તેમજ અન્ય 8 નગરપાલિકા વિસ્તારોમાં ટૂ લેન રેલવે ઓવરબ્રીજનું નિર્માણ હાથ ધરાશે.

સમગ્ર રાજ્યમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે 42 જેટલા રેલવે ઓવરબ્રીજ-અંડરબ્રીજના કામોને રૂ. 1376.47 કરોડના ખર્ચની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવેલી છે. 21 કામો રેલવે સાથે 50 ટકા / 75 ટકા શેરિંગ અંતર્ગત મંજૂર કરવામાં આવેલા છે. એટલું જ નહીં, રાજ્યમાં રૂ. 473.61 કરોડના 19 જેટલા આવા કામો વિવિધ તબક્કે પ્રગતિમાં છે. તેમજ રૂ. 526.33 કરોડના 12 કામોના ડી.પી.આર બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવે, આ સાથે વધુ એક મ્યુનિ.કોર્પોરેશન  અને 9 નગરપાલિકાઓમાં રેલવે ઓવરબ્રીજ બનાવવાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી આગામી દિવસોમાં શહેરી જનજીવન અને પરિવહન સુખાકારીમાં વૃદ્ધિનો ઉદાત્ત અભિગમ દર્શાવ્યો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે,  નગરો-શહેરોમાં વસતા નાગરિકોને ટ્રાફિક જામની સમસ્યાથી મુક્તિ મળે. એટલું જ નહીં, સમય અને ઇંધણની પણ બચત થઇ શકે તેવા જનહિત ભાવ સાથે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ‘ફાટકમુક્ત ગુજરાત અભિયાન’માં આવા રેલવે ઓવરબ્રીજ, રેલવે અંડરબ્રીજ, ફ્લાયઓવર જેવા કામોનું શહેરી વિકાસ વિભાગ હેઠળની ગુજરાત શહેરી વિકાસ કંપની લી. GUDC અમલીકરણ કરે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના આવા રેલવે ઓવરબ્રીજ-અંડરબ્રીજની તમામ અમલી કામગીરીઓ ‘સિંગલ એન્ટિટી’ અમલીકરણ સંસ્થા તરીકે GUDCને સોંપવાની પણ અનુમતિ આપી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code