કોંગ્રેસના શાસનમાં પણ ગુજરાત નંબર વન હતું, મૂડી રોકાણો અંગે શ્વેતપત્ર બહાર પાડોઃ શક્તિસિંહ
અમદાવાદઃ ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાનના નિવેદનને લઈને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિહ ગોહિલે પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીની ગુજરાતની ધરતી પર વડાપ્રધાન પાસેથી સત્યની આશા-અપેક્ષા હતી. વડાપ્રધાને ગુજરાતની વાત કરવાને બદલે માત્ર રાજકીય અવલોકન કર્યા છે. ગુજરાત સરકારે વાઇબ્રન્ટ સમિટના MOUને બદલે સાચું મૂડી રોકાણ અંગે શ્વેતપત્ર બહાર પાડે. તેમજ લાખો લોકોને રોજગાર મળવાના દાવા કર્યા હતા પરંતુ કેટલા લોકોને રોજગાર મળ્યો તે ભાજપ સરકાર જાહેર કરે તેવી માગ કરીએ છીએ.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ગુજરાતમાં કોગ્રેસની સરકાર હતી ત્યારે કોઇ પણ વાઇબ્રન્ટ વિના મૂડીરોકાણ માટે નંબર-1 હતું. આજે બધુ પોતે કર્યાનો દાવો કરતી ભાજપે ઈતિહાસ ભૂલવો ન જોઈએ. જયારે ગુજરાતમાં કોગ્રેસની સરકાર હતી ત્યારે ગુજરાત કોઇ પણ વાઇબ્રન્ટ વિના મૂડીરોકાણ માટે નંબર-1 હતું. એશિયાની સૌથી મોટી બે રિફાઇનરી ગુજરાતમાં કોંગ્રેસ સરકારમાં સ્થપાઈ. પંચમહાલમાં જનરલ મોટર્સ ઓટોમોબાઇલ કંપની કોંગ્રેસના શાસનમાં સ્થપાઇ હતી. આજે દિલ્હીમાં ભાજપની સરકાર છે રોડા નાખનાર કોઇ નથી ત્યારે ગુજરાત રોકાણમાં ક્યા નંબરે છે? ગુજરાતમાં કોઇ રોકાણ કરવા આવે તો તેને કેન્દ્ર સરકાર ધમકાવતી તે આક્ષેપ સંપૂર્ણ પાયાવિહોણા-ખોટો આક્ષેપો વડાપ્રધાનએ કર્યા છે. જો તેમની પાસે આધાર પુરાવા, કોઈ માહિતી હોય તો તે જણાવે અથવા કાંગ્રેસના નેતા સામે કેસ કરે, અડવાણી અને અરૂણ જેટલી સહિતના વિપક્ષના નેતાઓએ ક્યારેય પણ આ અંગે ગૃહમાં-સંસદમાં કઈ પણ કહ્યું નથી.
શક્તિસિંહે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન પાસે તેમની જન્મ દિવસના ઉજવણીના ભાગરૂપે છોડવામાં આવેલ 18 લાખ ક્યુસેક પાણીને કારણે નર્મદા, ભરૂચ, વડોદરા સહિતના કાઠા વિસ્તારમાં માનવસર્જીત આપદા અંગે, ખેડુતો-નાગરિકોને થયેલા પારાવાર મુશ્કેલીઓ અંગે વાત કરશે તેવી અપેક્ષા હતી. પરંતુ વડાપ્રધાને માત્રને માત્ર રાજકીય અવલોકનો કર્યો પણ તે પુર અંગે એક શબ્દ ન બોલ્યા, ભાજપ સરકારે જાહેર કરેલા મશ્કરીરૂપ સહાય પેકેજ અંગે એક હરફ પણ ન ઉચ્ચાર્યો. વડાપ્રધાન પાસેથી આશા હતી કે પુરની હોનારતની તપાસ માટે સુપ્રીમ કે હાઇકોર્ટના ન્યાયાધીશની અધ્યક્ષતામાં તપાસ પંચની રચના કરાય પરંતુ વડાપ્રધાને આવી કોઇ જ જાહેરાત ન કરી, ગુજરાતના પ્રવાસમાં આટલો સમય આપ્યો છે તો નર્મદા અને ભરૂચના પુરગ્રસ્ત ખેડૂતો, નાગરિકોને મળે, વડાપ્રધાન જન્મ દિવસ માટે ડેમ ભરી એક સાથે લાખો ક્યુસેક પાણી છોડનાર સરકારને ફટકાર લગાવે, જેને જેટલુ નુકસાન થયુ છે તેટલી સહાયની જાહેરાત કરે તેવી અપેક્ષા હતી પરંતુ આ પ્રકારનું વડાપ્રધાને કશું જ પણ કર્યું નહીં, માત્ર ઠાલા વચનો અને સત્યથી વેગળી વાતો કરી રાજકીય અવલોકન કર્યા જે દુર્ભાગ્યપૂર્ણ છે.


