PSI ભરતીની પરીક્ષાના પરિણામમાં વિવાદના મામલે રાજ્ય સરકારને હાઈકોર્ટે પાઠવી અરજન્ટ નોટીસ
અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા કરાતી ભરતીઓ કોઈને કોઈ કારણે વિવાદમાં રહેતી હોય છે. તાજેતરમાં પીએસઆઈની ભરતીની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. પરિણામ જાહેર થયા બાદ કેટલીક વિસંગતતા રહી હોવાના મુદ્દે વિવાદ ઊભા થયો હતો. અને કેટલાક ઉમેદવારોએ તેને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. ગુજરાત હાઈકોર્ટે પીએસઆઈ ભરતીના પરિણામના વિવાદ મામલે ભરતી બોર્ડ અને રાજ્ય સરકારને અરજન્ટ નોટિસ પાઠવી છે. આ કેસની આગામી 11 મેના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે. હાઈકોર્ટ સમક્ષ આ સિવાય અન્ય બે અરજી કરવામાં આવી છે. જેમાં જનરલ કેટેગરીની બેઠકો ઓછી કરી દેવાઈ હોવાની ફરિયાદ કરવામાં આવી છે. જ્યારે એક્સ આર્મીમેનને ભરતી પ્રક્રિયામાં થયેલા અન્યાય મુદ્દે પણ થઈ અરજી કરાઇ છે. આ ત્રણેય અરજી મામલે એક સાથે સુનવણી હાથ ધરવામાં આવશે.
ગુજરાતમાં પીએસઆઈની ભરતીની પરીક્ષાનું પરિણામ તજેતરમાં જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં કેટલાક ઉમેદવારોએ પોતાને અન્યાય થયો હોવાને વિરોધ કર્યો હતો. અને આ મુદ્દે હાઈકોર્ટમાં ન્યાય મેળવવા માટે અરજ ગુજારવામાં આવી હતી. આ મામલે હાઇકોર્ટે ભરતી બોર્ડ અને રાજ્ય સરકારને અરજન્ટ નોટિસ પાઠવી જવાબ રજૂ કરવા માટે હુકમ કર્યો છે. વિષયની ગંભીરતાને જોતા હવે વેકેશન બેન્ચ સમક્ષ આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે. પ્રીલિમ પરીક્ષાના પરિણામ સામે વિરોધ નોંધાવતા ઉમેદવારોએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં રજૂઆત કરાઈ હતી કે કુલ જગ્યાની સામે પર્યાપ્ત માત્રામાં ઉમેદવારોને મેરિટમાં સમાવેશ નથી કરાયો. ઉમેદવારોની માંગ છે GPSC પેટર્ન પ્રમાણે જે-તે કેટેગરી પ્રમાણે એટલે કે ST, SC OBC અને બિનઅનામત વર્ગના ઉમેદવારોની કેટેગરી અનુસાર કુલ જગ્યાના ત્રણ ગણા ઉમેદવારોને મેરિટમાં સમાવેશ કરવો જોઇએ. પરંતુ તેમ કરવામાં આવ્યું નથી. ભરતી બોર્ડે તમામ કેટેગરી મળી 3 ગણા ઉમેદવારોનો મેરીટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 6 માર્ચ 2022 ના રોજ PSIની ભરતી માટે પ્રિલિમીનરી પરીક્ષા યોજાઇ હતી. કુલ 1382 જગ્યા માટે 88,880 ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા હતા. જ્યારે ભરતી બોર્ડે જારી કરેલા પરિણામમાં 4311 ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય જાહેર થયા છે.


