ગૃહમંત્રી અમિત શાહ રાજસ્થાન, ગુજરાત અને પૂર્વ ભારતના સરહદી વિસ્તારોના પ્રવાસે
નવી દિલ્હી, 26 મે 2026: Home Minister Amit Shah દેશની સરહદોની સુરક્ષા વ્યવસ્થાને વધુ અભેદ્ય બનાવવા અને સૈનિકોનો ઉત્સાહ વધારવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી થોડા દિવસો સુધી વિવિધ સરહદી વિસ્તારોની મહત્વપૂર્ણ મુલાકાતે છે. ગૃહમંત્રી પોતાના આ વ્યસ્ત પ્રવાસ દરમિયાન પાકિસ્તાન અને બાંગ્લાદેશને અડીને આવેલી આંતરરાષ્ટ્રીય સરહદોની સુરક્ષા સ્થિતિની જાતે સમીક્ષા કરશે.
આજે રાજસ્થાનની ‘સાંચુ બોર્ડર આઉટપોસ્ટ’ ની મુલાકાત
ગૃહમંત્રી અમિત શાહ હાલમાં રાજસ્થાનના બીકાનેરની બે દિવસીય મુલાકાતે છે. પ્રવાસના પ્રથમ દિવસે તેઓ આજે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) ની મહત્વની ગણાતી સાંચુ બોર્ડર આઉટપોસ્ટ પર જશે. ગૃહમંત્રી ત્યાં તૈનાત જવાનો સાથે સીધી વાતચીત કરી તેમની સ્થિતિની માહિતી મેળવશે. સરહદ પર દેશની રક્ષા કરતા વીર જવાનોની સુવિધા માટે તેઓ ખાસ કલ્યાણકારી યોજનાઓનું ઉદ્ઘાટન પણ કરશે.
ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાશે
આજે બપોરે બીકાનેરમાં સરહદી વિસ્તારોની સુરક્ષા સ્થિતિ અંગે એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાશે. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં ગૃહ મંત્રાલય અને રાજસ્થાન સરકારના વરિષ્ઠ અધિકારીઓ, BSF ના ઉચ્ચ અધિકારીઓ તેમજ સરહદને અડીને આવેલા પાંચ જિલ્લાના કલેક્ટર અને પોલીસ વડા (SP) ખાસ ઉપસ્થિત રહેશે. જેમાં ઘૂસણખોરી અને સરહદ પારના પડકારો અંગે રણનીતિ ઘડાશે.
29 મેના રોજ ગુજરાતના ભુજની મુલાકાત
રાજસ્થાનના પ્રવાસ બાદ, આ જ મહિનાની 29 તારીખે ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના ભુજ (કચ્છ) ની મુલાકાતે આવશે. કચ્છની સંવેદનશીલ ક્રીક અને પાકિસ્તાન સરહદ નજીક આવેલી BSF ની બોર્ડર આઉટપોસ્ટનું તેઓ બારીકાઈથી નિરીક્ષણ કરશે અને દરિયાઈ તેમજ જમીની સરહદની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે.
આગામી મહિને ત્રિપુરા અને પશ્ચિમ બંગાળનો પ્રવાસ
આગામી મહિનાની 5 તારીખે ગૃહ મંત્રી ત્રિપુરાના સરહદી વિસ્તારોની મુલાકાત લેશે. અને ત્યારબાદ તેઓ પશ્ચિમ બંગાળ જશે અને ત્યાંના સરહદી વિસ્તારોની સ્થિતિનો તાગ મેળવશે.
વધુ વાંચો: અલીગઢ રોડ અકસ્માત: બે ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં એક છોકરી સહિત ત્રણ લોકોના મોત


