
ગાંધીનગરમાં પ્રા. શાળાના શિક્ષકોને વધુ એક કલાકનો સમય આપી વિદ્યાર્થીઓને ભણાવવાનો આદેશ
ગાંધીનગર : રાજ્યમાં કોરોના કાળ દરમિયાન વિદ્યાર્થીઓના શિક્ષણ પર વિપરિત અસર પડી હતી. એટલે જે વિદ્યાર્થી અભ્યાસમાં નબળા છે. તેમને વધુ ભણાવીને તૈયાર કરવાનું શિક્ષણ વિભાગે આયોજન કર્યું છે. જેમાં વિદ્યાર્થીઓને શાળાના સમય ઉપરાંત વધુ એક કલાક ભણાવવા ગાંધીનગરની તમામ પ્રાથમિક શાળાઓને મહત્વનો આદેશ કરાયો છે. પ્રાથમિક શાળાના શિક્ષકોને દરરોજ એક કલાક શ્રમદાન આપવો પડશે. ગાંધીનગર જિલ્લા પ્રાથિક શિક્ષણાધિકારીએ ધો. 3 થી 8 ના શિક્ષકોને આ આદેશ કર્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ કોરોનાને કારણે બાળકોના ભણતર પર અસર પડી હતી. અનેક બાળકોનો પાયો કાચો રહી ગયો હતો. તેમાં પણ ખાસ કરીને જે બાળકો બાળમંદિર, પ્રથમ અને બીજા ધોરણમાં તેમના પર મોટી અસર પડી છે. ત્યારે કોરોનાના કારણે બાળકોના અભ્યાસ પર થયેલી અસરના પગલે આ આદેશ કરાયો છે. જિલ્લા શિક્ષણાધિકારી ડો.બીએન પ્રજાપતિ દ્વારા આદેશ કરાયો કે, એક કલાકનો વધુ સમય ફાળવીને બાકી રહેલો અભ્યાસ સારી રીતે પૂર્ણ કરવાનો હેતુ છે. તેથી તમામ શિક્ષકોને જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિના સુધી દરરોજ એક કલાક વધારે ફાળવવા આદેશ કર્યો છે.
સૂત્રોએ વધુમાં જણવાય્ હતું કે, ગુજરાતની શિક્ષણ નીતિમાં ધરખમ ફેરફારો થઈ રહ્યાં છે. સરકાર દ્વારા સરકારી શાળાઓ પર વધુ ફોકસ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી ધકેલપંચે ચાલતી સરકારી શાળાઓને મોડેલ સ્કૂલ બનાવવા સરકારે કમર કસી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન ગુજરાતમાં શિક્ષણની કથળેલી શિક્ષણ સ્થિતિનો મુદ્દો ઉઠ્યો હતો. ત્યારે હવે સરકાર આ છબી બદલવાનો પ્રયાસ કરી રહી છે. નવી શિક્ષણ નીતિ હવે ધીમે ધીમે લાગુ કરવામાં આવી રહી છે ત્યારે તેમાં ધોરણ 6થી 8માં 10 દિવસ બેગલેસ ડે તરીકે શરૂ કરવાનું રાજ્ય સરકારે જાહેરાત કરી છે અને સંભવત આ બેગલેસ ડે સિસ્ટમ નવા વર્ષ એટલે કે જાન્યુઆરી-2023થી જ શાળાઓમાં લાગુ કરી દેવાનો નિર્ણય લેવાયો છે. આ સિસ્ટમ પ્રમાણે વિદ્યાર્થીઓ 10 દિવસ સ્કુલ બેગ લીધા વિના શાળાએ આવશે અને આ દિવસો દરમિયાન વિદ્યાર્થીઓને વ્યવસાયિક વિષયોનું પ્રેક્ટિકલ જ્ઞાન આપવામાં આવશે. જેનો હેતુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સમજણના કૌશલ્ય સાથે જોડવાનો છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, બેગલેસ ડેની અમલવારી પ્રારંભિક તબક્કે જાન્યુઆરી- 2023ના પ્રથમ સપ્તાહમાં રાજ્યની 491 ઉચ્ચ પ્રાથમિક શાળામાં શરૂ કરવામાં આવશે. જ્યારે બીજા તબક્કામાં જાન્યુઆરી- 2023 અંત સુધીમાં 1009 ઉચ્ચ પ્રાથમિક શાળામાં બેગલેસનું અમલીકરણ કરવામાં આવશે. જેના માટે શાળા દીઠ રૂ.15000 એમ કુલ રૂ. બે કરોડની નાણાકીય જોગવાઇ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. (file photo)