ભાજપનો લોકસભાની ચૂંટણીમાં 400નો ટાર્ગેટ પુરો કરવા ગુજરાતમાં ફરી તમામ બેઠકો જીતવાનું લક્ષ્ય
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે રેકર્ડબ્રેક જીત મેળવ્યા બાદ હવે 2024માં એટલે કે આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. દેશમાં લોકસભાની ચૂંટણીમાં કહેવાય છે. કે, ભાજપે 400 બેઠકો મેળવવાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. જેમાં ગઈ વખતની જેમ આ વખતે પણ ગુજરાતમાંથી ભાજપે તમામ 26 બેઠકો જીત મેળવવી પડશે. એટલે પ્રદેશ ભાજપના સંગઠનમાં હાલ કોઈ ફેરફાર કરવામાં આવે એવું લાગતું નથી,
સૂત્રોના જણાવ્યા મુજબ દેશમાં ભાજપની સરકાર અને સંગઠનમાં મોટા ફેરફારો થવાની સંભાવનાઓ વચ્ચે ભાજપના નવા પ્રમુખ કોણ હશે તેની ચર્ચા વચ્ચે બે નવાં નામ રમતાં થયાં છે. જગત પ્રકાશ નડ્ડાનો પ્રમુખ તરીકેનો કાર્યકાળ 20મી જાન્યુઆરીએ પૂરો થાય છે. નડ્ડાના સ્થાને ભૂપેન્દ્ર યાદવ, ધર્મેન્દ્ર પ્રધાન અને અનુરાગ ઠાકુરમાંથી કોઈ એકને પ્રમુખ બનાવાશે એવી અટકળો ચાલી રહી છે. પણ એવું કહેવાય છે કે, જેપી નડ્ડાનો કાર્યકાળ વધારીને તેમને ફરી પ્રમુખપદની જવાબદારી સોંપાઈ શકે છે. આ વર્ષે નવ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી છે. 2024માં લોકસભા ચૂંટણી છે. તેથી ભાજપ કોઈ પણ પ્રકારનું જોખમ લેવાના બદલે નડ્ડાને રીપીટ કરી દેશે. ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠક 16 અને 17 જાન્યુઆરીએ દિલ્હીમાં યોજાશે. આ બેઠકમાં ભાજપ આગામી પ્રમુખના નામની જાહેરાત કરાશે. ભાજપ કઈ પણ ભોગે મોદીને દિલ્હીની ગાદી પર ફરી બેસાડવા માટે મક્કમ છે. આ જવાબદારી ચૂંટણીના ચાણક્ય અમિત શાહે પોતાના ખભે ઉપાડી છે. લોકસભાની 2024ની ચૂંટણીમાં ભાજપના પ્રચારની જવાબદારી અમિત શાહ નિભાવશે એ અત્યારથી નક્કી થઈ ગયું છે. લોકસભા ચૂંટણી પહેલાં યોજાનારી 9 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપની વ્યૂહરચના અમિત શાહ ઘડશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં ભાજપે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વખતે ભાજપ 160 એવી બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરશે કે, જ્યાં છેલ્લી ચૂંટણીમાં હાર્યો હતો. ભાજપે આ વખતે લોકસભાની ચૂંટણીમાં 400 બેઠકો પાર કરવાનો લક્ષ્યાંક નક્કી છે. ભાજપ હાલની 300 પ્લાસ બેઠકો જાળવીને આ 160 બેઠકોમાંથી 100 બેઠકો જીતે તો 400નું ટાર્ગેટ પાર પાડી શકે છે તેથી અત્યારથી જ આ બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરાશે. ગુજરાત ભાજપે પણ 26 બેઠકો જીતવા માટે સોશિયલ મીડિયા પર આક્રમક પ્રચાર કરવાનું નક્કી કર્યું છે. દરેક મતવિસ્તાર માટે સોશિયલ મીડિયા ટીમ બનાવીને કેન્દ્રની કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓની મદદથી પ્રચાર કરાશે. લોકસભા ચૂંટણીમાં પણ નવા ચહેરા આવશે. લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં 26 પૈકી 7થી 8 સાંસદોને કાપી ભાજપ નવા ઉમેદવારોને ઉતારી શકે છે. આ ચહેરાઓમાં કેટલાંક વર્તમાન ધારાસભ્યો પણ હોઇ શકે. જે ધારાસભ્યોએ સારી એવી લીડથી જીત મેળવી છે તેમના નામ પર પણ ભાજપની બેઠકમાં ચર્ચા થઇ હોવાનું કહેવાય છે.