
વલસાડઃ દક્ષિણ ગુજરાતમાં વલસાડ, સુરત, નવસારી સહિતના વિસ્તારોમાં દીપડાં જોવા મળતા હોય છે. બારડોલી વિસ્તારમાં તો દિવસ દરમિયાન પણ શેરડીના વાઢમાં દીપડાંઓ જોવા મળતા હોય છે. વલસાડ પંથકમાં પણ દીપડાઓ અવારનવાર પશુઓનું મારણ કરતા હોય છે. વલસાડ તાલુકાના નાની સરોણ ગામે આતંક મચાવતી ખૂંખાર દીપડી આખરે પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. દીપડીએ છેલ્લા એક અઠવાડિયાથી રાત્રી દરમિયાન 4થી 5 પશુપાલકોના તબેલામાંથી વાછરડીનું મારણ તેમજ કેટલાક પશુપાલકોના ઘરો નજીકથી મરઘાનું મારણ કર્યું હતુ. જેથી ગામમાં ભારે દહેશતનો માહોલ ફેલાયો હતો. જે દીપડી આખરે પાંજરે પુરાઇ હતી.
વલસાડ તાલુકાના નાની સરોણ ગામે છેલ્લા ઘણા દિવસથી કોઈ જંગલી પ્રાણી દ્વારા પશુઓનો શિકાર કરવામાં આવતો હતો. આથી ગ્રામજનોએ તપાસ કરતા અને નજર રાખતા દીપડી દ્વારા પશુઓનું મારણા કરવામાં આવતુ હોવાનું જાણવા મળ્યું હતું દીપડીના આતંકના પગલે લોકો રાત્રી દરમિયાન ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા હતા ત્યારે ગત રોજ રાત્રીના વધુ એક પશુ પાલકના નિવસ્થાન નજીકથી વાછરડીનું મારણ કરતા આખરે ગ્રામજનોએ જંગલ વિભાગની ટીમને જાણકારી આપતા ચણવઇ જંગલ વિભાગની ટિમ દ્વારા નાની સરોણ ગામે પાંજરું ગોઠવ્યું હતું. જેમાં આજે વહેલી સવારે ખુંખાર દીપડી પાંજરે પુરાઈ જતા લોકોનું ટોળું દીપડીને જોવા માટે ઉમટી પડ્યા હતા. જોકે, હજુ પણ આસપાસમાં દીપડા ફરતા હોવાની ચર્ચા સ્થાનિક લોકો કરી રહ્યા છે. આજે કેટલા દિવસ બાદ દીપડી પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, દીપડી દ્વારા અનેક પશુપાલકોના ગાય વાછરડાને મારણ કરતા તેઓને પણ નુકશાન પહોચ્યું છે. ત્યારે આજે રાહતની વાત એ છે કે સરોણ ગામમાં આતંક મચાવતી ખૂંખાર દીપડી આખરે પાંજરે પુરાઈ છે.